Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PTI સાથે પ્રધાનમંત્રીની મુલાકાત


પીટીઆઈ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતનો સંપૂર્ણ ભાગ અહીં છે.

 

  1. 1 સાહેબ, તમે પ્રધાનમંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું છે. શું તમે કૃપા કરીને તમારા અનુભવનો સારાંશ કહી શકશો?
  1. જ્યારે મેં કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે સનદી સેવાઓ તદ્દન હતાશ હતી અને નિર્ણયો લેવામાં ડરતી હતી. બહારથી વધારાના બંધારણીય સત્તાવાળાઓ અને અંદરથી મંત્રીઓના સમૂહોની કામગીરીને કારણે મંત્રીમંડળ વ્યવસ્થા પણ ખરાબ થઈ ગઈ હતી. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે મોટી ખાઈ હતી અને મોટા પાયે અવિશ્વાસ હતો. વિદેશીઓ અને ભારતીયો પણ ભારતીય શાસન પ્રત્યે નિરાશાનો અનુભવ કરતા હતા. અંધકારના એ વાતાવરણને બદલવું એ ખૂબ જ પડકારજનક કાર્ય હતું અને આ પરિસ્થિતિને સુધારવામાં અને આત્મવિશ્વાસ તથા આશાને પાછી લાવવામાં મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
  1. 2 પ્રધાનમંત્રી બન્યા પછી તરત તમે કહ્યું હતું કે તમે દિલ્હીને સમજવાની કોશિશ કરી રહ્યા છો કારણ કે તમે અહીં નવા હતા. શું તમે દિલ્હીને સમજી ગયા છો?
  1. જ્યારે હું દિલ્હીની વાત કરું છું તો મારો મતલબ કેન્દ્ર સરકારનો હતો. મારો અનુભવ એવો છે કે દિલ્હીનું નેતૃત્વ જે રીતે તેને વ્યાખ્યાયિત કરે તે રીતે દિલ્હી વર્તન કરે છે. અમારી ટીમે સરકારને વધુ સક્રિય અને વ્યાવસાયિક બનાવવા માટે દિલ્હીની કાર્ય સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. જ્યારે મેં કાર્યભાર સંભાળ્યો, ત્યારે મેં જોયું કે દિલ્હીમાં સત્તાની ગલીઓ વિવિધ પ્રકારની લોબીઓથી ભરેલી હતી. સત્તાની ગલીઓ (અથવા લોબીની સફાઈ કરવાનું) સાફ કરવાનું કામ મહત્ત્વનું હતું કે જેથી સરકારી તંત્ર પોતે જ સુધરી જાય. સુધારણા અને સફાઈની આ પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો હતો પરંતુ તે લાંબા ગાળે સ્વચ્છ અને ન્યાયી શાસનના રૂપમાં લાભદાયી સાબિત થશે.
  1. 3 અને તમે શું સમજ્યા છો?
  1. હું દિલ્હીમાં એક વાત નથી સમજી શક્યો કે જે પક્ષો રાજ્ય સરકારો તરીકે જમીન સંપાદન કાયદામાં સુધારો કરવા માગે છે, તેઓ દિલ્હીમાં બેઠા હોય ત્યારે અચાનક સુધારાના વિરોધી કેવી રીતે બની જાય છે.
  1. 4 પાછલાં એક વર્ષ તરફ નજર કરતા શું તમને લાગે છે કે એવું કંઈક છે કે જેને તમે અત્યારે જે રીતે કર્યું છે તેના કરતા અલગ રીતે કરી શક્યા હોત અથવા કરવું જોઈતું હતું?
  1. મારી પાસે બે વિકલ્પો હતા. એક વિકલ્પ એ હતો કે સરકારી તંત્રને સંચાલિત કરવું, વ્યવસ્થા તંત્રમાં રહેલી ઘણી બધી ત્રુટીઓ અને દૂષણોને સુધારવા, જેથી કરીને સ્વચ્છ, કાર્યક્ષમ અને ન્યાયી શાસનના સ્વરૂપમાં દેશને લાંબા ગાળાના લાભો પુરા પાડી શકાય. બીજો વિકલ્પ એ હતો કે નવી લોકશાહી યોજનાઓ જાહેર કરવા માટેના આદેશનો ઉપયોગ કરવો અને લોકોને મૂર્ખ બનાવતા રહેવા માટે ઉપરાઉપર જાહેરાતો સાથે મીડિયા પર બોમ્બમારો કરવો. આ બીજો વિકલ્પ વધારે સરળ છે અને લોકોને તેની આદત પણ પડી ગઈ છે. આમ છતાં, મેં તે વિકલ્પ પસંદ ના કર્યો અને તેના બદલે ખામીયુક્ત સરકારી વ્યવસ્થા તંત્રને શાંત અને પદ્ધતિસર રીતે સુધારવાનો વધુ મુશ્કેલ રસ્તો પસંદ કર્યો હતો. જો મેં લોકપ્રિય વિકલ્પ પસંદ કર્યો હોત, તો તે લોકો દ્વારા મારી ઉપર મૂકવામાં આવેલા વિશ્વાસનો દ્રોહ થયો ગણાત.
  1. 5 પ્રથમ વર્ષ દરમિયાન તમે સ્વચ્છ ભારત, શાળાઓ માટે શૌચાલય, જનધન, ગરીબો માટે વીમો, પેન્શન યોજના જેવા અનેક કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરી છે. ભવિષ્ય માટે શું યોજનાઓ છે?
  1. સૌ પ્રથમ તો, મારે એ બાબતનો ઉલ્લેખ કરવો જોઈએ કે સ્વચ્છ ભારત અને શાળાના શૌચાલયનો સંબંધ માત્ર સ્વચ્છતા સાથે નથી. શૌચાલયની જોગવાઈ એ આપણી મહિલાઓના ગૌરવ માટેની લઘુત્તમ જરૂરિયાત છે અને તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ કામ કરી શક્યા નથી.

ભવિષ્યમાં અમારું ધ્યાન મહિલાઓ, ખેડૂતો, શહેરી ગરીબો અને રોજગાર પર રહેશે. અમે જે કઈં પણ શરૂઆત કરી છે તેને ગામડાઓ અને મ્યુનિસિપલ વિસ્તારોમાં આગળ લઈ જવાની જરૂર છે. અમારે એવા મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે કે જે સ્વચ્છ શહેરો, સ્વચ્છ નદીઓ, અને પાણી તથા વીજળી જેવી જરૂરી ચીજોનો નિયમિત અને અવિરત પુરવઠો પૂરો પાડવામાં બાધારૂપ બને છે. અમારે એવા સુધારાઓ કરવા પડશે કે જે અમને આશ્રય વિહોણા લોકો માટે 50 મિલિયન ઘરો બનાવવામાં મદદ કરે. અમારે એ જોવાનું છે કે દેશના તમામ ક્ષેત્રો, ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમને, વિકાસના માપદંડોમાં સમાનતા પર લાવવામાં આવે.

અમારે આપણી સંસ્થાઓ, કર્મચારીઓ અને કામદારોની ક્ષમતાનું નિર્માણ કરવાનું છે. અમારું નિયમનકારી વાતાવરણ સંશોધન, નવીનતા અને ઉદ્યોગશીલતાને પ્રોત્સાહિત કરતું નથી. અમારા છોકરાઓ અને છોકરીઓ અન્ય દેશોમાં એટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આપણે આપણા દેશમાં તેમનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતા નથી. અમે અટલ ઈનોવેશન મિશન (AIM) અને સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઈઝેશન (SETU)ની સ્થાપના કરીને તેની શરૂઆત કરી છે. આ બધા માટે એક સામાન્ય જરૂરિયાત જે છે, તે છે આપણા નીતિ શાસન અને વહીવટી સંસ્કૃતિમાં સુધારાઓ.

  1. 6 તમે આર્થિક સુધારાને ઝડપી ગતિએ આગળ ધપાવવા માંગતા હતા. પરંતુ કેટલાક મહત્વના સુધારાઓ જેવા કે જમીન સંપાદન અને GST જેવા બિલમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. શું તમને લાગે છે કે આવા સુધારાના પગલાંમાં ઊભા થયેલા અવરોધો દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે? પગલાંનો વિરોધ કરનારાઓને તમારો શું સંદેશ હશે?
  1. GST અને પ્રસ્તાવિત જમીન સંપાદન બિલ બંને દેશ માટે ફાયદાકારક છે. રાજકીય હેતુઓને બાજુ પર રાખીને તમામ પક્ષોએ આ બિલોના મૂળ સારની સરાહના કરવી જોઈએ. રાષ્ટ્રનું લાંબાગાળાનું હિત સૌથી આગળ હોવું જોઈએ. રાજ્યો GST ડિઝાઇન માટે સંમત થયા છે તે હકીકત આપણી સંઘીય વ્યવસ્થાની પરિપક્વતા દર્શાવે છે અને GST બિલ લોકસભા દ્વારા પહેલેથી જ પસાર થઈ ચૂક્યું છે. કાયદાઓ પસાર થયા પહેલાની આ વાત છે.
  1. 7 જો સુધારણાનાં પગલાંઓ ઝડપથી આગળ વધારવામાં નહીં આવે, તો તે વિદેશી રોકાણકારોને કેવા પ્રકારનો સંદેશ આપશે, ખાસ કરીને જયારે તમે મહત્તમ રોકાણ લાવવા માટેના ખૂબ પ્રયત્નો કરી રહ્યાં છો?
  1. દિલ્હીની એક ખાસિયત એ છે કે ‘સુધારણા’ શબ્દ માત્ર સંસદમાં કાયદા પસાર કરવા સાથે સંકળાયેલો છે. વાસ્તવમાં, સરકારના વિવિધ સ્તર પર, કામની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓમાં, નવા કાયદાઓ લાવ્યા વિના, સૌથી મહત્વપૂર્ણ સુધારાઓ કરવાની જરૂર છે. અમે આ પ્રકારના ઘણા મોટા સુધારાઓ શરૂ કર્યા છે. તેમાં ડીઝલની કિંમતોને નિયંત્રણમુક્ત કરવી, રાંધણ ગેસ સબસિડીનું સીધું હસ્તાંતરણ કરવું, એફડીઆઈ મર્યાદામાં વધારો કરવો, રેલ્વેમાં સુધારો કરવો અને બીજી ઘણી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. સત્ય તો એ છે કે સુધારાઓને ખરેખર ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવ્યા છે અને તેના પરિણામ સ્વરૂપે FDIમાં પહેલેથી જ અગાઉના વર્ષની સરખામણીએ એપ્રિલ 2014થી ફેબ્રુઆરી 2015ના સમયગાળામાં 39% નો વધારો જોવા મળ્યો છે.
  1. 8 ભવિષ્યમાં તમે અન્ય કયા સુધારાના પગલાંઓની યોજના બનાવી રહ્યા છો?
  1. અમે અત્યાર સુધીમાં જે પગલાં લીધા છે તે અને અમારા કાર્યકાળના પ્રથમ વર્ષ દરમિયાન અમે કરેલા કાર્યોં માટે સમગ્ર દેશમાં લોકોનો જે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી અમને હજી પણ વધારે સારું પ્રદર્શન કરવાનું પ્રોત્સાહન મળ્યું છે. હવે અમારું ધ્યાન P2G2 પર રહેશે, એટલે કે પ્રો-એક્ટિવ, લોકો તરફી સુશાસનના સુધારાઓ. અમે અન્ય એક પાસા પર પણ ભાર મૂકીશું અને તેને મજબૂત કરીશું અને તે એ છે કે રાજ્ય અને કેન્દ્ર એક ટીમ છે અને જેમણે સુધારાને અસરકારક બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.
  1. 9 તમે FDI માટે પહેલાથી સંખ્યાબંધ ક્ષેત્રો ખોલી દીધા છે. અન્ય કયા એવા ક્ષેત્રો છે કે જે તમે ભવિષ્યમાં એફડીઆઈ માટે ખોલવાનું વિચારી શકો છો?

 

  1. પહેલેથી જ લીધેલા પગલાંથી રોકાણના સ્થળ તરીકે ભારતનું આકર્ષણ વધ્યું છે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થઇ છે. જ્યાં પણ રોજગારની વધુ સંભાવના છે અને જ્યાં પણ આપણી પાસે મજબૂત સ્થાનિક પ્રતિભા છે, ઉદાહરણ તરીકે, સંશોધન અને વિકાસમાં: તે FDI માટે ધ્યાન કેન્દ્રિત કરવાના ક્ષેત્રો હશે. અમે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડનું નિર્માણ કર્યું છે. આ એક મોટું પગલું છે કે જે અલગ-અલગ સેક્ટરમાં પહોંચ પુરી પાડવાની જરૂરિયાતના બદલે તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વિદેશી રોકાણના પ્રવાહમાં વધારો કરશે.
  1. 10 આર્થિક નીતિના સંદર્ભમાં, શું આરબીઆઈ અને નાણા મંત્રાલય એક સમાન સ્તર પર છે? હું પ્રશ્ન એટલા માટે પૂછું છું કારણ કે કેટલીકવાર આરબીઆઈ ગવર્નરની ટિપ્પણીઓ એવી આવે છે કે જે નાણાં મંત્રાલય સાથેના તેમના તૂટેલા સંપર્કનો ઈશારો કરતી હોય છે.
  1. મને નવાઈ લાગે છે કે પીટીઆઈ જેવી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સમાચાર સંસ્થા અલગ-અલગ સંદર્ભમાં કરેલી ટિપ્પણીના આધારે ખોટું અનુમાન લગાવી રહી છે. RBI તેની પોતાની કાર્યાત્મક સ્વાયત્તતા ધરાવે છે જેને સરકાર અને નાણા મંત્રાલય હંમેશા માન આપે છે અને સાચવે છે.
  1. 11 નાણાકીય વર્ષમાં તમે કયા વિકાસના આંકડાને લક્ષ્યાંકિત કરી રહ્યાં છો?
  1. છેલ્લા એક વર્ષનો અનુભવ અને 1.25 અબજ ભારતીયોનો ઉત્સાહ તેમજ પ્રોત્સાહન મને વિશ્વાસ અપાવે છે કે આ વખતે તમામ આર્થિક સૂચકાંકો લક્ષ્યાંક કરતાં વધી જશે. હું એવો કોઈ પણ એવો આંકડો કે જે નીચો સાબિત થાય તે આપીને ક્ષમતા અને પ્રયત્નોને નીચા આંકવા નથી માંગતો.
  1. 12 જમીન સંપાદન બિલ પર વિપક્ષો કહી રહ્યા છે કે તમે ઉદ્યોગકારોને ફાયદો કરાવવા માંગો છો. તમે વાતને નકારી રહ્યા છો અને કહો છો કે કાયદો ગરીબ ખેડૂતો અને ગામડાના લોકોના હિત માટે છે. તેમ છતાં વિપક્ષ પોતાની વાત પર ટકેલી છે. શું તમને લાગે છે કે વિરોધપક્ષનો વિરોધ વાજબી છે?
  1. હું રાજકીય ગડમથલમાં પડવા માંગતો નથી. આમ છતાં, હું પૂછવા માંગુ છું કે જે લોકોએ કોલસાની ખાણો અને જંગલની જમીન, કે જે ખનિજ સંસાધનોથી સમૃદ્ધ હતી તેમને પોતાના મનપસંદ ઉદ્યોગકારોને ફાળવી દીધી છે, તે લોકોને શું કોઈપણ નૈતિક અધિકાર છે કે તેઓ એવી સરકારને સવાલ પૂછે કે જે સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે અવિરતપણે કાર્ય કરી રહી છે. મને નવાઈ લાગે છે કે 60 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી પણ આ પ્રશ્નો પૂછનારાઓને વહીવટ અને શાસનની આટલી નબળી જાણકારી છે. આખો દેશ જાણે છે કે જમીનનો વિષય કેન્દ્ર સરકાર પાસે નથી અને કેન્દ્રને જમીનોની જરૂર નથી. જમીનને લગતા તમામ અધિકારો રાજ્યો પાસે છે. 120 વર્ષ જૂના જમીન સંપાદન અધિનિયમમાં અગાઉની સરકારે સંસદમાં 120 મિનિટની પણ ચર્ચા કર્યા વિના સુધારો કરી દીધો હતો. આ બિલ ખેડૂતો માટે સારું છે એમ વિચારીને અમે પણ તે સમયે તેનું સમર્થન કર્યું હતું. પછીથી રાજ્યો તરફથી ઘણી ફરિયાદો આવી. અમે રાજ્યોની ઈચ્છાઓનો અનાદર ના કરી શકીએ. વ્યક્તિએ ભૂલો સુધારવાનું ટાળવા માટે એટલું અહંકારી પણ ન બનવું જોઈએ, એટલા માટે અમે ભૂલોને સુધારવા માટે બિલ લાવ્યા, અને તે પણ રાજ્યોની માંગના જવાબમાં. કોઈપણ વ્યક્તિ કે જે અમારા પ્રસ્તાવિત સુધારાઓને રાજકીય રંગે રંગાયેલા ચશ્મા ચડાવ્યા વિના જોશે તો તે અમને પુરેપુરા માર્ક્સ આપશે.
  1. 13 જમીન વિધેયક પર મડાગાંઠ હોવાના લીધે હવે બહાર નીકળવાનો રસ્તો શું છે? શું તમે જમીન સંપાદન બિલ પર વિપક્ષના મંતવ્યોનો સ્વીકાર કરવા માટે તૈયાર છો? એવા કયા સંભવિત પાસાઓ છે કે જેમાં સરકાર વિપક્ષના વિચારો સાથે સહમત થઈ શકે તેમ છે?
  1. ગામડા, ગરીબ, ખેડૂત: જો સૂચનો આ દબાયેલા જૂથોને અનુકૂળ હોય અને રાષ્ટ્રના હિતમાં હોય, તો અમે તે સૂચનો સ્વીકારીશું.
  1. 14 વર્ષ દરમિયાન, જ્યારે પણ લઘુમતી સમુદાયના કોઈપણ વ્યક્તિ અથવા લઘુમતી સંસ્થાઓ પર હુમલો થયો છે ત્યારે તમારી સરકાર તેમજ સંઘ પરિવારને વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે. તમને અંગત રીતે પણ નિશાન બનાવવામાં આવ્યા છે. અંગે તમારું શું કહેવું છે?
  1. દેશમાં કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ કોઈપણ ગુનાહિત કૃત્યને વખોડવામાં આવે છે. હુમલાખોરોને કાયદા મુજબ સખત સજા થવી જ જોઈએ. મેં આ પહેલા પણ કહ્યું છે અને હું ફરીથી કહું છું: કોઈપણ સમુદાય સામે કોઈપણ ભેદભાવ અથવા હિંસા સહન કરવામાં આવશે નહીં. આ અંગે મારી સ્થિતિ એકદમ સ્પષ્ટ છેઃ સબ કા સાથ, સબ કા વિકાસ. અમે કોઈપણ જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના 1.25 બિલિયન ભારતીયોમાંના પ્રત્યેકની સાથે ઊભા છીએ અને અમે તેમાંથી દરેકની પ્રગતિ માટે કામ કરીશું.
  1. 15 તમે છેલ્લા એક વર્ષમાં ઘણા બધા દેશોની યાત્રા કરી છે. વિપક્ષોએ તમારા પર પ્રહાર કરતા કહ્યું છે કે તમે ભાગ્યે દેશમાં રહો છો. ટીકા માટે તમારો પ્રતિભાવ શું છે?
  1. આપણે પરસ્પર નિર્ભર વિશ્વમાં જીવીએ છીએ. એકલવાયું ભારત આપણા હિતમાં નથી. ભારતીય પ્રધાનમંત્રીની નેપાળની મુલાકાત 17 વર્ષ સુધી નહોતી યોજાઈ એ કોઈ સારી સ્થિતિ નથી. માત્ર આપણે એક વિશાળ દેશ છીએ એટલા માટે કંઈ આપણે ઘમંડી ન બની શકીએ અને એવું પણ ના વિચારી શકીએ કે આપણે બીજાની અવગણના કરી શકીએ છીએ. આપણે એક અલગ યુગમાં જીવી રહ્યા છીએ. આતંકવાદ એ વૈશ્વિક છે અને તે દૂરના અંતરિયાળ દેશોમાંથી પણ આવી શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય બેઠકો અને ડબલ્યુટીઓ જેવી સંસ્થાઓ એવા નિર્ણયો લે છે જેનું પાલન કરવા આપણે બંધાયેલા છીએ અને જો આપણે આવી બેઠકોમાં હાજર નહિ રહીએ તો લીધેલા નિર્ણયોથી આપણને નુકસાન થઈ શકે છે.

લોકશાહીમાં દરેકને સરકારની ટીકા કરવાનો અધિકાર છે. સામાન્ય રીતે, વિપક્ષને સમાચારોમાં વધુ સ્થાન મળે છે અને લોકોને પણ તે સમયની સરકાર વિરુદ્ધ અવાજો સાંભળવાનું રસપ્રદ લાગે છે. જ્યારથી મેં પદ સંભાળ્યું છે ત્યારથી વિપક્ષના મારા મિત્રો મારી વિદેશ યાત્રાઓ અંગે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. જો આ યાત્રાઓ નિષ્ફળ રહી હોત અથવા અમે કોઈ ભૂલો કરી હોત, તો તેમણે ચોક્કસ મુદ્દાઓ પર તેમની ટિપ્પણીઓ કરી હોત. પરંતુ કોઈપણ ચોક્કસ મુદ્દાની ગેરહાજરીમાં, તેઓ માત્ર દિવસોની સંખ્યા અને દેશોની સંખ્યા વિશે ચર્ચા કરી રહ્યા છે. લોકોની પરિપક્વતા જુઓ: તાજેતરના તમામ સર્વેક્ષણો દર્શાવે છે કે અમારી વિદેશ નીતિ માટે સૌથી વધુ મંજૂરી પ્રાપ્ત માનાંક છે. જ્યારે વિરોધીઓ એક મુદ્દા પર હાંસી ઉડાવે છે, ત્યારે તે સફળતાની નિશ્ચિત નિશાની છે!

  1. 16 જ્યારે તમારી ઉપર વિપક્ષ દ્વારા ઉદ્યોગકારો તરફી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે દીપક પારેખ જેવા ઉદ્યોગ ક્ષેત્રના કેટલાક લોકો કહે છે કે ઉદ્યોગ માટે ખરેખર કંઈ થઈ રહ્યું નથી. તમે શું કહો છો?
  1. તેનો જવાબ તમારા પ્રશ્નમાં જ મળી જવાનો છે. જો વિરોધીઓ અમારા પર ઉદ્યોગ તરફી હોવાનો આરોપ લગાવતા હોય પરંતુ ઉદ્યોગો એવું કહેતા હોય કે અમે તેમને મદદ કરી રહ્યા નથી, તો હું માનું છું કે અમારા નિર્ણયો અને પહેલ લોકો તરફી અને રાષ્ટ્રના લાંબા ગાળાના હિતમાં છે.
  1. 17 રાહુલ ગાંધી તાજેતરમાં સક્રિય થયા છે અને ખેડૂતોના તેમજ જમીન સંપાદન બિલના મુદ્દાઓને તેમણે ઉઠાવ્યા છે. તેમણે તમારી સરકારનેસૂટબૂટ કી સરકારપણ કહી છે. અંગે તમારી ટિપ્પણી શું છે?
  1. કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને 50થી ઓછી બેઠકો સાથે તેનો અંત આવ્યો છે. એક વર્ષ પછી પણ તેઓ આ વાત પચાવી શક્યા નથી. પ્રજાએ તેમને તેમની અવગણના અને કમિશનના પાપોની સજા આપી છે. અમને લાગતું હતું કે તેઓ આમાંથી શીખશે, પરંતુ એવું લાગે છે કે તેઓ અગાઉની કહેવત સાચી સાબિત કરી રહ્યા છે કે જો પ્રો અને કોન એકબીજાના વિરોધી હોય તો કોંગ્રેસ પ્રગતિની વિરુદ્ધ છે.
  1. 18 તાજેતરમાં, CAG દેશની સંરક્ષણ સજ્જતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો અત્યારે યુદ્ધ થાય તો સેના પાસે માત્ર 10-20 દિવસ ચાલી શકે તેટલો દારૂગોળો છે. તેમનો અહેવાલ 2013ના આંકડા પર આધારિત હતો. તમે આના પર શું કહેશો?
  1. રાષ્ટ્રીય સુરક્ષા એ એક ગંભીર બાબત છે અને મને નથી લાગતું કે જાહેર મંચમાં આવી વિગતોની ચર્ચા કરવી યોગ્ય છે. આમ છતાં હું આપણા દેશવાસીઓને ખાતરી આપી શકું છું કે દેશ આપણા આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના બહાદુર યોદ્ધાઓના હાથમાં સુરક્ષિત છે.
  1. 19 ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વચનોમાંથી એક હતું કે નવી સરકાર કાળા નાણાં સામે કડક પગલાં લેશે. શું આમાં કોઈ પ્રગતિ થઈ છે?
  1. સત્તા સંભાળ્યા પછી અમારી સરકારનો સૌથી પહેલો નિર્ણય જ કાળાં નાણાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવાનો હતો. આ પગલું વર્ષોથી કોઈ કાર્યવાહી વિના અટક્યા કરતુ હતું અને અમે અમારી પહેલી જ કેબિનેટ બેઠકમાં તેને અમલમાં મૂક્યું છે. ત્યારબાદ, અમે એક નવું બિલ પણ લાવ્યા છીએ કે જે વિદેશમાં રાખેલા કાળા નાણાને નાથશે અને તેમાં સખત દંડની જોગવાઈ છે. અમારા પ્રયાસો માટે આભાર કે, નવેમ્બર 2014માં G-20 સમિટમાં કરચોરી રોકવા અને ખાસ કરીને દેશો વચ્ચે માહિતીની આપ-લે કરવા માટે એક કરાર થયો હતો. આનાથી અમને કાળા નાણાને શોધી કાઢવામાં મદદ મળશે. આ ખૂબ જ મજબૂત અને નક્કર પગલાંઓ છે.
  1. 20 સરકારની કામ કરવાની રીત બદલવા માટે તમે કયા પ્રયાસો કર્યા છે?
  1. અમે સરકારી કર્મચારીઓને એ યાદ કરાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ જનતાના સેવક છે અને કેન્દ્ર સરકારની કચેરીઓમાં શિસ્ત પુનઃસ્થાપિત કરી છે. મેં એક નાનું કામ કર્યું છે, જે બહારથી નાનું દેખાય છે. હું નિયમિતપણે અધિકારીઓ સાથે ચા પર વાતચીત કરું છું; તે મારી કાર્યશૈલીનો એક ભાગ છે. સૈદ્ધાંતિક રીતે મને લાગે છે કે જો આપણે ટીમ તરીકે કામ કરીશું તો જ દેશ આગળ વધશે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ એક ટીમ છે. કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ બીજી ટીમ છે. કેન્દ્ર અને રાજ્યોના સનદી અધિકારીઓ એ બીજી એક ટીમ છે. આ જ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા આપણે સફળતાપૂર્વક દેશનો વિકાસ કરી શકીએ છીએ. અમે આ માટે ઘણાં પગલાં લીધાં છે અને આયોજન પંચને નાબૂદ કરી અને તેની જગ્યાએ નીતિ આયોગ કે જેમાં રાજ્યો સંપૂર્ણ ભાગીદાર છે તે આ દિશામાં ભરવામાં આવેલું એક મોટું પગલું છે.
  1. 21 એવી ટીકા થઈ રહી છે કે તમામ સત્તાઓનું કેન્દ્રબિંદુ પીએમઓમાં રહેલું છે. શું આવા દૃષ્ટિકોણમાં કોઈ તથ્ય છે?
  1. તમારો પ્રશ્ન ખુબ ભારે છે. જો કોઈ એક ગેરબંધારણીય સત્તા બંધારણીય સત્તાથી ઉપર બેસીને પ્રધાનમંત્રી કાર્યાલય પર સત્તાનો ઉપયોગ કરી રહી હોત અને ત્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોત તો વધારે સારું થાત. પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય એ બંધારણીય યોજનાનો જ એક સંપૂર્ણ ભાગ છે, તેની બહાર નથી. અમે વ્યક્તિગત મંત્રાલયોની સોંપવામાં આવેલી સત્તાઓમાં મોટો વધારો કર્યો છે કે જેથી ઘણા બધા નિર્ણયો કે જે અગાઉ પ્રધાનમંત્રી અને કેબિનેટ પાસે આવવા જરૂરી હતા તે હવે મંત્રાલયો જાતે લઈ શકે છે. મંત્રાલયો માટે નાણાકીય પ્રતિનિધિમંડળ ત્રણ ગણું કરવામાં આવ્યું છે. રાજ્યોને સોંપણીમાં વધારો થયો છે અને રાજ્યો નીતિ આયોગ દ્વારા શાસનમાં સંપૂર્ણ ભાગીદાર બન્યા છે. તમામ સફળ અને પરિવર્તનકારી વહીવટને વિવિધ મંત્રાલયોમાં ગાઢ સંકલનની જરૂર છે અને તેમાં કંઈ અનોખું નથી. અમે સરકારના વ્યવસાય નિયમોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને નિર્ણયો અધિકૃત લોકો દ્વારા જ લેવામાં આવે છે.
  1. 22 યુપીએ II ના અંતિમ વર્ષોમાં શાસનની ગેરહાજરીના લીધે પરિવર્તન ઇચ્છતા લોકો તરફથી તમને વિશાળ જનાદેશ મળ્યો છે. એક વર્ષ પછી, એવો ગણગણાટ થઈ રહ્યો છે કે તમે સારા દિવસો બરાબર રીતે હજુ લાવ્યા નથી. શું લોકો ધીરજ ગુમાવી રહ્યા છે?
  1. 21મી સદી એ ભારતની સદી હોવી જોઈએ પરંતુ 2004થી 2014 સુધી ખરાબ વિચારો અને ખરાબ કાર્યોએ દેશને વિપરીત અસર કરી છે. દરેક દિવસ એક નવો ખરાબ દિવસ હતો અને નવા કૌભાંડો હતા. લોકો રોષે ભરાયા હતા. આજે, એક વર્ષ પછી, અમારા વિરોધીઓએ પણ અમારા પર ખરાબ કાર્યોનો આરોપ લગાવ્યો નથી. તમે જ મને કહો, કે જો હજી સુધી એક પણ કૌભાંડ નથી થયું, તો શું આ સારા દિવસો નથી?
  1. 23 દેશ કૃષિ સંકટનો સામનો કરી રહ્યો છે. ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજકીય ગરમાવાનું કારણ બની ગયો છે. ખેડૂતોની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે અનેક પગલાં લીધાં છે. સરકાર હજી પણ વધારે શું કરવાનું વિચારી રહી છે?
  1. ખેડૂતો દ્વારા આત્મહત્યા એ ઘણા વર્ષોથી ગંભીર ચિંતાનો વિષય છે. રાજકીય દાવપેચમાં સ્કોરિંગ દ્વારા કઈ સરકારના શાસન કાળમાં કેટલી આત્મહત્યાઓ થઈ છે, એવી સરખામણી કરીને આ સમસ્યાનો ઉકેલ નહિ આવી શકે. કોઈપણ પક્ષની સરકાર માટે અને આપણા દરેક માટે આત્મહત્યાનો એક કિસ્સો પણ ચિંતાજનક છે. મેં બહુ દુઃખ સાથે સંસદમાં કહ્યું હતું કે શાસક અને વિરોધ પક્ષો વચ્ચે કાદવ ઉછાળવાનો કોઈ અર્થ નથી અને સંસદની પવિત્રતાને માન આપીને આપણે સામૂહિક રીતે આ મુદ્દાનો જવાબ શોધવાની જરૂર છે. આપણે શોધવાની જરૂર છે કે આપણે ક્યાં ખોટું કર્યું છે અને આપણે આટલા વર્ષોમાં શા માટે આનો ઉકેલ લાવી શક્યા નથી. મેં આપણા ખેડૂતોમાં સંતોષ અને સલામતીની ભાવના લાવવા માટે તમામ પક્ષો પાસેથી તેમના સૂચનો માંગ્યા છે. હું આપણા ખેડૂતોને ખાતરી આપવા માંગુ છું કે આ સરકાર તેમના કલ્યાણ માટે જે પણ જરૂરી છે તે કરવામાં ક્યારેય ઉદાસીન જોવા નહીં મળે.
  1. 24 લોકસભા ચૂંટણીમાં જોરદાર પરાજય મેળવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ મોડે મોડેથી હવે પોતાનો અવાજ શોધી કાઢ્યો હોય તેમ લાગે છે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. શ્રીમતી ગાંધીએ તમારી સરકાર પર સંસદમાંજડતાપૂર્વકનો અહંકારદર્શાવવાનો અને વહીવટી પારદર્શિતાને ખલેલ પહોંચાડવાનો આરોપ મૂક્યો છે. તેણીએ કહ્યું કે તમારી સરકાર એક વ્યક્તિદ્વારા ચાલતી સરકાર છે. તમારો પ્રતિભાવ શું છે?
  1. કદાચ, તેઓ એ હકીકતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે, અગાઉના વધારાના-બંધારણીય સત્તાવાળાઓ ખરેખર સત્તા ચલાવતા હતા જ્યારે હવે સત્તા ફક્ત બંધારણીય માધ્યમો દ્વારા સંચાલિત થાય છે. જો આરોપ એવો છે કે અમે બંધારણીય માધ્યમો દ્વારા કામ કરી રહ્યા છીએ અને કોઈપણ વધારાના બંધારણીય સત્તાવાળાઓને સાંભળતા નથી, તો હું મારી જાતને તે આરોપ માટે દોષિત કબૂલ કરું છું.
  1. 25 તમારી સરકાર સેવાભાવી સંસ્થાઓ ઉપરશિકંજો કસવાનીબાબત ઉપર પણ ટીકાનો સામનો કરી રહી છે અને જેની ઉપર અમેરિકાનું કહેવું છે કે પ્રકારના પગલાંઓ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર ઠંડી અસર કરી શકે તેમ છે. શું ચેતવણીયુક્ત દ્રષ્ટિકોણ છે?
  1. વર્ષ 2010 માં વર્તમાન ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ યુપીએ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, આ સરકાર દ્વારા નહીં. અત્યારે લેવામાં આવેલ પગલાંઓ એ અગાઉની સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદાને લાગુ કરવા માટે લેવાયેલા પગલાં માત્ર છે. કાયદા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આની સામે કોઈ દેશભક્ત નાગરિક વાંધો ઉઠાવી શકે નહીં.
  1. 26 સાહેબ, તમે સહકારાત્મક સંઘવાદ વિશેની વાત કરી રહ્યા છો. પ્રધાનમંત્રી તરીકે, મુખ્ય મંત્રીઓ સાથેના વ્યવહારનો તમારો અનુભવ કેવો છે? સહકારી સંઘવાદને મજબૂત કરવામાં તેઓ કેટલા સહકારી છે?
  1. ઘણા વર્ષોથી કેન્દ્ર સાથેના મુખ્યમંત્રીઓના અનુભવે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે. “દૂધનો દાઝયો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે’ -એકવારનો દાઝેલો બે વાર શરમાય. અત્યારે પણ પાછલા દાયકાના વારસા તરીકે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર ઘણી શંકાઓ છે. આમ છતાં હું કહી શકું છું કે વિશ્વાસ નિર્માણ થવાની સારી શરૂઆત થઈ ગઈ છે. નીતિ આયોગ રાષ્ટ્રને આગળ લઈ જવા માટે ગતિશીલ કેન્દ્ર-રાજ્ય ભાગીદારીનું નિર્માણ કરવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરી રહ્યું છે. ભાગીદારી અને ટીમ વર્કની આ ભાવના ધીમે ધીમે વધી રહી છે અને તેના ફળ આગામી વર્ષોમાં જોવા મળશે.