હર હર મહાદેવ!
કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા વિવિધ રાજ્યોના આદરણીય મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, પ્રવાસન ઉદ્યોગના સાથી, દેશ-વિદેશથી વારાણસી આવેલા પ્રવાસીઓ, અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો,
આજે લોહરીનો ઉમંગભર્યો તહેવાર છે. આગામી દિવસોમાં ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, ભોગી, બિહુ, પોંગલ જેવા અનેક તહેવારો પણ આપણે ઉજવીશું. હું દેશ અને દુનિયામાં આ તહેવારોની ઉજવણી કરી રહેલા તમામ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ,
આપણા તહેવારો, દાન-દક્ષિણા, તપ-તપસ્યા, આપણા સંકલ્પોની સિદ્ધિ માટે આપણી શ્રદ્ધા, આપણી માન્યતાઓનું પોતાનું આગવું મહત્વ છે. અને તેમાં પણ આપણી નદીઓની ભૂમિકા મહત્વની છે. આવા સમયે, આપણે બધા નદીના જળમાર્ગોના વિકાસ સાથે સંબંધિત આટલા મોટા ઉત્સવના સાક્ષી બની રહ્યા છીએ. આજે મારા કાશીથી દિબ્રુગઢની વચ્ચે દુનિયાની સૌથી લાંબી નદી જળયાત્રા – ગંગા વિલાસ ક્રૂઝનો શુભારંભ થયો છે. આનાથી વિશ્વના પર્યટન નકશામાં પૂર્વ ભારતનાં ઘણાં પર્યટન સ્થળો વધુ આગળ આવવાનાં છે. કાશીમાં ગંગાની પેલે પાર આ જે નવનિર્મિત અદ્ભૂત ટેન્ટ સિટી છે એનાથી દેશ-દુનિયાના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને ત્યાં આવીને રહેવાનું બીજું એક મોટું કારણ મળ્યું છે. આ સાથે જ આજે પશ્ચિમ બંગાળમાં મલ્ટી મૉડલ ટર્મિનલ, યુપી અને બિહારમાં તરતી જેટી, આસામમાં મેરીટાઈમ સ્કીલ સેન્ટર, શિપ રિપેર સેન્ટર, ટર્મિનલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ વગેરે જેવા 1000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. તેનાથી પૂર્વ ભારતમાં વેપાર અને પર્યટન સાથે સંબંધિત સંભાવનાઓનો વિસ્તાર થશે, રોજગારીની નવી તકોનું સર્જન થશે.
સાથીઓ,
ગંગાજી આપણા માટે માત્ર જળધારા જ નથી. બલકે તે પ્રાચીન કાળથી આ મહાન ભારત ભૂમિની તપ-તપસ્યાની સાક્ષી છે. ભારતની સ્થિતિઓ-પરિસ્થિતિઓ ગમે તે રહી હોય, મા ગંગાએ કરોડો ભારતીયોને હંમેશા પોષિત કર્યા છે, પ્રેરિત કર્યા છે. આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોઈ શકે કે ગંગાજીના કિનારા પરની આખી પટ્ટી જ આઝાદી પછી વિકાસમાં પાછળ જ પડતી ગઈ, આગળ વધવાની તો વાત જ જવા દો. આ કારણે લાખો લોકો ગંગા કિનારેથી હિજરત પણ કરી ગયા. આ સ્થિતિને બદલવી જરૂરી હતી, તેથી અમે નવા અભિગમ સાથે કામ કરવાનું નક્કી કર્યું. એક તરફ અમે નમામિ ગંગેનાં માધ્યમથી ગંગાજીની નિર્મળતા માટે કામ કર્યું, તો બીજી તરફ અમે અર્થ ગંગાનું પણ અભિયાન ચલાવ્યું. અર્થ ગંગા એટલે, અમે ગંગાની આસપાસ વસેલાં રાજ્યોમાં આર્થિક ગતિવિધિઓનું એક નવું વાતાવરણ ઊભું કરવા માટે પગલાં લીધાં. આ ગંગા વિલાસ ક્રૂઝ, આ અર્થ ગંગામાં તેનાં અભિયાનને નવી તાકાત આપશે. આ ક્રૂઝ ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની યાત્રા દરમિયાન તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
સાથીઓ,
આજે હું ખાસ કરીને એ તમામ વિદેશી પર્યટકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, જેઓ આ ક્રૂઝનાં માધ્યમથી પહેલી યાત્રા પર જવાના છે. તમે બધા એક પ્રાચીન શહેરથી આધુનિક ક્રૂઝથી મુસાફરી કરવા જઇ રહ્યા છો. હું ખાસ કરીને આપણા આ વિદેશી પ્રવાસી મિત્રોને કહીશ કે- ભારત પાસે એ બધું જ છે જેની તમે કલ્પના કરી શકો છો. તે તમારી કલ્પનાશીલતાની બહાર પણ ઘણું બધું ધરાવે છે. ભારતને શબ્દોમાં પરિભાષિત કરી શકાતું નથી. ભારતનો અનુભવ દિલથી જ થઈ શકે છે. કારણ કે ભારતે હંમેશાં દરેક માટે પોતાનું હૃદય ખોલ્યું છે, પછી ભલે તે કોઈ પણ ક્ષેત્ર કે ધર્મ, પંથ અથવા દેશનો કેમ ન હોય. અમે વિશ્વના વિવિધ ભાગોના અમારા બધા પર્યટક મિત્રોનું સ્વાગત કરીએ છીએ.
સાથીઓ,
આ ક્રૂઝ યાત્રા એક સાથે ઘણા નવા અનુભવો લઈને આવવાની છે. આ જે લોકો એમાંથી આધ્યાત્મિકતાની શોધમાં છે, તેમને વારાણસી, કાશી, બોધગયા, વિક્રમશિલા, પટના સાહિબ અને માજુલીની યાત્રા કરવાનો લહાવો મળશે. જે લોકો મલ્ટી નેશનલ ક્રૂઝનો અનુભવ કરવા માગે છે તેમને ઢાકામાંથી પસાર થવાની તક મળશે. જે લોકો ભારતની પ્રાકૃતિક વિવિધતાને જોવા માગે છે, તેમના માટે આ ક્રૂઝ તેમને સુંદરવન અને આસામનાં જંગલોના પ્રવાસ પર લઈ જશે. જે લોકો ભારતમાં નદીઓ સાથે જોડાયેલી વ્યવસ્થાને સમજવામાં રસ ધરાવે છે, તેમના માટે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે આ ક્રૂઝ 25 અલગ-અલગ નદીઓ કે નદીધારાઓમાંથી પસાર થશે. અને જે લોકો ભારતના સમૃદ્ધ ખાન-પાનનો અનુભવ કરવા માગે છે, તેમના માટે પણ આ એક સુંદર અવસર છે. એટલે કે આ યાત્રામાં આપણને ભારતની વિરાસત અને આધુનિકતાનો અદ્ભૂત સંગમ જોવા મળશે. ક્રૂઝ ટુરિઝમનો આ નવો યુગ આ ક્ષેત્રમાં આપણા યુવા મિત્રોને રોજગાર-સ્વ-રોજગારની નવી તકો પણ પૂરી પાડશે. વિદેશી પ્રવાસીઓ માટે તો આ આકર્ષણ હશે જ, એટલું જ નહીં દેશના જે પ્રવાસીઓ આવા અનુભવો માટે વિદેશ જતા હતા તેઓ હવે પૂર્વ ભારતમાં જઈ શકશે. આ ક્રૂઝ જ્યાંથી પણ પસાર થશે ત્યાં વિકાસની એક નવી લાઇન બનાવશે. અમે દેશભરના નદીના જળમાર્ગોમાં ક્રૂઝ ટુરિઝમ માટે આવી જ વ્યવસ્થા તૈયાર કરી રહ્યા છીએ. શહેરો વચ્ચે લાંબી રિવર ક્રૂઝ ઉપરાંત, અમે વિવિધ શહેરોમાં નાની ક્રૂઝને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. કાશીમાં પણ અત્યારે આવી વ્યવસ્થા ચાલી રહી છે. દેશમાં બજેટથી લઈને લક્ઝરી ક્રૂઝ સુધી દરેક પ્રકારની સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે, જેથી તે દરેક પર્યટક વર્ગ સુધી પહોંચી શકે.
સાથીઓ,
દેશમાં ક્રૂઝ ટુરિઝમ અને હેરિટેજ ટુરિઝમનો આ સંગમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતમાં પર્યટનનો તેજીનો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેમ જેમ ભારતની વૈશ્વિક ભૂમિકા વધી રહી છે, તેમ તેમ ભારતને જોવાની, ભારતને જાણવાની અને ભારતને સમજવાની ઉત્સુકતા પણ વધી રહી છે. એટલે છેલ્લાં 8 વર્ષમાં અમે ભારતમાં પ્રવાસન ક્ષેત્રનાં વિસ્તરણ પર વિશેષ ભાર મૂક્યો છે. અમે આપણાં આસ્થાનાં સ્થળો, તીર્થો, ઐતિહાસિક સ્થળોના વિકાસને પણ પ્રાથમિકતા આપી છે. કાશી નગરી તો અમારા આ પ્રયાસોની સાક્ષાત્ સાક્ષી બની છે. આજે મારી કાશીના રસ્તા પહોળા થઈ રહ્યા છે, ગંગાજીના ઘાટ સ્વચ્છ થઈ રહ્યા છે. કાશી વિશ્વનાથ ધામનું પુન:નિર્માણ થયા બાદ જે રીતે શ્રદ્ધાળુઓ અને પર્યટકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે પણ અભૂતપૂર્વ છે. ગયાં વર્ષે કાશીમાં જેટલા શ્રદ્ધાળુઓ આવ્યા છે, તેનાથી આપણા નાવિકો, શેરી વિક્રેતાઓ, રિક્ષાવાળાઓ, દુકાનદારો, હોટલ-ગેસ્ટહાઉસ ચલાવનારાને, બધાને લાભ થયો છે. હવે ગંગા પારના વિસ્તારમાં આવેલી આ નવી ટેન્ટ સિટી કાશી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને એક નવો અનુભવ આપશે. આ ટેન્ટ સિટીમાં આધુનિકતા પણ છે, આધ્યાત્મ પણ અને આસ્થા પણ છે. આ ટેન્ટ સિટીમાં રાગથી માંડીને સ્વાદ સુધી, બનારસનો દરેક રસ, દરેક રંગ જોવા મળશે.
સાથીઓ,
આજનું આ આયોજન, દેશમાં 2014 પછીથી જે નીતિઓ બની, જે નિર્ણયો લેવામાં આવ્યા, જે દિશાઓ નક્કી કરવામાં આવી, તેનું પ્રતિબિંબ છે. 21મી સદીનો આ દાયકો ભારતમાં માળખાગત કાયાકલ્પનો દાયકો છે. આ દાયકામાં ભારતના લોકો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એ તસવીર જોવા જઈ રહ્યા છે, જેની કોઇ જમાનામાં કલ્પના સુદ્ધાં કરવી મુશ્કેલ હતી. ઘર, શૌચાલય, વીજળી, પાણી, રાંધણ ગેસ, શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલો જેવાં સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી રેલવે, હાઇવે, એરવેઝ અને જળમાર્ગો જેવાં ફિઝિકલ કનેક્ટિવિટી એનાથી જોડાયેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. તે આજે ભારતના ઝડપી વિકાસનો, વિકસિત ભારતનાં નિર્માણનો સૌથી મજબૂત સ્તંભ છે. સૌથી પહોળા ધોરીમાર્ગ, સૌથી આધુનિક એરપોર્ટ, આધુનિક રેલવે સ્ટેશન, સૌથી ઊંચા અને લાંબા પુલો, સૌથી ઊંચાઈ પર બનનારી લાંબી ટનલથી નવા ભારતના વિકાસનું પ્રતિબિંબ આપણે સૌ અનુભવ કરીએ છીએ. તેમાં પણ નદી જળમાર્ગો ભારતનું નવું સામર્થ્ય બની રહ્યા છે.
સાથીઓ,
આજે ગંગા વિલાસ ક્રૂઝની શરૂઆત થવી એ પણ કોઈ સામાન્ય ઘટના નથી. જેમ કે, જ્યારે કોઈ દેશ ઉપગ્રહને પોતાના જોરે અવકાશમાં સ્થાપિત કરે છે, ત્યારે તે તે દેશની તકનીકી કાર્યક્ષમતા દર્શાવે છે. એ જ રીતે 3200 કિલોમીટરથી વધુની આ લાંબી યાત્રા ભારતમાં આંતરિક જળમાર્ગોના વિકાસ, નદીઓના જળમાર્ગો માટે બની રહેલા આધુનિક સંસાધનોનું એક જીવતું-જાગતું ઉદાહરણ છે. વર્ષ 2014 પહેલા દેશમાં જળમાર્ગોનો બહુ ઓછો ઉપયોગ થતો હતો. આ સ્થિતિ ત્યારે હતી જ્યારે ભારતમાં જળમાર્ગો દ્વારા થતા વેપારનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ હતો. વર્ષ 2014 પછીથી ભારત, પોતાની આ પ્રાચીન શક્તિને આધુનિક ભારતની પરિવહન વ્યવસ્થાની મુખ્ય શક્તિ બનાવવા લાગ્યું છે. અમે દેશની મોટી નદીઓમાં નદી જળમાર્ગોના વિકાસ માટે કાયદો બનાવ્યો છે, અમે એક વિસ્તૃત એક્શન પ્લાન બનાવ્યો છે. 2014માં દેશમાં માત્ર 5 રાષ્ટ્રીય જળમાર્ગો હતા. આજે 24 રાજ્યોમાં 111 રાષ્ટ્રીય જળમાર્ગોને વિકસિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આમાંથી લગભગ ૨ ડઝન જેટલા જળમાર્ગો પર હાલમાં સેવાઓ ચાલી રહી છે. 8 વર્ષ પહેલાં સુધી નદીના જળમાર્ગો દ્વારા માત્ર 30 લાખ મેટ્રિક ટન કાર્ગોનું જ પરિવહન થતું હતું. આજે આ ક્ષમતા 3 ગણાથી પણ વધુ થઈ ગઈ છે. નદીના જળમાર્ગોનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ગંગા પર બની રહેલો આ રાષ્ટ્રીય જળમાર્ગ સમગ્ર દેશ માટે એક મૉડલનાં રૂપમાં વિકસી રહ્યો છે. આજે આ જળમાર્ગ, પરિવહન, વેપાર અને પર્યટન ત્રણેય માટે એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે.
સાથીઓ,
આજનું આ આયોજન પૂર્વ ભારતને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવામાં પણ મદદરૂપ થશે. પશ્ચિમ બંગાળમાં હલ્દિયા ખાતે આધુનિક મલ્ટિ-મૉડલ ટર્મિનલ વારાણસીને જોડે છે. તે ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટથી પણ જોડાયેલું છે અને પૂર્વોત્તરને પણ જોડે છે. તે કોલકાતા પોર્ટ અને બાંગ્લાદેશને પણ જોડે છે. એટલે કે તે યુપી-બિહાર-ઝારખંડ-પશ્ચિમ બંગાળથી લઈને બાંગ્લાદેશ સુધી વેપાર-ધંધાને સુગમ બનાવનાર છે. તેવી જ રીતે જેટી અને રો-રો ફેરી ટર્મિનલનું નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યું છે. તેનાથી અવર-જવર પણ આસાન બનશે, માછીમારો અને ખેડૂતોને પણ સુવિધા મળશે.
સાથીઓ,
ક્રૂઝ હોય, કાર્ગો શિપ હોય, તે પરિવહન અને પર્યટન પર તો ભાર મૂકે જ છે, પરંતુ તેમની સેવા સાથે સંબંધિત સમગ્ર ઉદ્યોગ પણ નવી તકો ઊભી કરે છે. આ માટે જે સ્ટાફની જરૂર હોય, જે કુશળ લોકોની જરૂર હોય તેમના માટે પણ તાલીમની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ માટે ગુવાહાટીમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. ગૌહાટીમાં જહાજોનાં સમારકામ માટે એક નવી સુવિધા પણ બનાવવામાં આવી રહી છે.
સાથીઓ,
આ જળમાર્ગો પર્યાવરણની સુરક્ષા માટે પણ સારા છે અને પૈસાની બચત પણ કરે છે. એક અભ્યાસ મુજબ જળમાર્ગ દ્વારા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ રોડ કરતા અઢી ગણો ઓછો થાય છે. આ સાથે જ જળમાર્ગ દ્વારા પરિવહનનો ખર્ચ રેલની સરખામણીએ ત્રીજા ભાગનો ઓછો થાય છે. તમે કલ્પના કરી શકો છો કે જળમાર્ગો દ્વારા કેટલું બળતણ બચે છે, કેટલા વધુ પૈસાની બચત થાય છે. ઝડપથી બની રહેલા આ જળમાર્ગો ભારતે બનાવેલી નવી લોજિસ્ટિક્સ નીતિમાં પણ ખૂબ મદદરૂપ થવાના છે. એમાં પણ ખૂબ જ મહત્વની બાબત એ છે કે, ભારતમાં હજારો કિલોમીટર લાંબું જળમાર્ગ નેટવર્ક તૈયાર થવાની ક્ષમતા છે. ભારતમાં સવાસોથી વધુ નદીઓ અને નદીધારાઓ છે, તેનો ઉપયોગ લોકો અને ચીજવસ્તુઓનાં પરિવહનમાં થઈ શકે છે. આ જળમાર્ગો ભારતમાં બંદર-સંચાલિત વિકાસને વધારવામાં પણ મદદરૂપ થશે. કોશીશ એ જ છે કે આગામી વર્ષોમાં ભારતમાં જળમાર્ગો, રેલવે અને ધોરીમાર્ગોનું મલ્ટિ-મૉડલ મોડર્ન નેટવર્ક બને. અમે બાંગ્લાદેશ અને અન્ય દેશો સાથે સમજૂતીઓ પણ કરી છે, જેનાથી પૂર્વોત્તરનાં જળ જોડાણ પણ મજબૂત થઈ રહ્યાં છે.
સાથીઓ,
વિકસિત ભારતનાં નિર્માણ માટે મજબૂત કનેક્ટિવિટી આવશ્યક છે. તેથી, અમારું આ અભિયાન નિરંતર ચાલ્યા કરશે. નદી જળ શક્તિ, દેશના વેપાર અને પર્યટનને નવી ઊંચાઈઓ આપે, આ જ ઇચ્છા સાથે, હું તમામ ક્રૂઝ મુસાફરોને સુખદ યાત્રા માટે અનેક-અનેક શુભેચ્છા પાઠવું છું. આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!
YP/GP/JD
Beginning of cruise service on River Ganga is a landmark moment. It will herald a new age of tourism in India. https://t.co/NOVFLFrroE
— Narendra Modi (@narendramodi) January 13, 2023
Today, the world's longest river cruise - Ganga Vilas, has embarked on a journey between Kashi and Dibrugarh.
— PMO India (@PMOIndia) January 13, 2023
Due to this, many tourist places of Eastern India are going to benefit. pic.twitter.com/SlE4pvd2Or
गंगा जी हमारे लिए सिर्फ एक जलधारा भर नहीं है।
— PMO India (@PMOIndia) January 13, 2023
बल्कि ये भारत की तप-तपस्या की साक्षी हैं। pic.twitter.com/iJGA4OqXqE
India welcomes all our tourist friends from different parts of the world.
— PMO India (@PMOIndia) January 13, 2023
Come, explore the vibrancy of our country! pic.twitter.com/7LiA2beUkq
क्रूज जहां से भी गुजरेगा वहां विकास की एक नई लाइन तैयार करेगा। pic.twitter.com/HcKxwy3Cz3
— PMO India (@PMOIndia) January 13, 2023
This is the decade of transforming India's infrastructure. pic.twitter.com/bb0pyirjfd
— PMO India (@PMOIndia) January 13, 2023
नदी जलमार्ग, भारत का नया सामर्थ्य बन रहे हैं। pic.twitter.com/pGB1hrwK27
— PMO India (@PMOIndia) January 13, 2023
क्रूज टूरिज्म के इस नए दौर से यात्रियों को जहां एक अलग अनुभव होगा, वहीं हमारे युवा साथियों के लिए रोजगार और स्वरोजगार के भी अनेक अवसर बनेंगे। pic.twitter.com/PyClStka40
— Narendra Modi (@narendramodi) January 13, 2023
21वीं सदी का यह दशक भारत में इंफ्रास्ट्रक्चर के कायाकल्प का दशक है। देशवासी आधुनिक इंफ्रास्ट्रक्चर की वो तस्वीर देखने जा रहे हैं, जिसकी कल्पना तक मुश्किल थी। pic.twitter.com/4s5mieixTT
— Narendra Modi (@narendramodi) January 13, 2023
2014 के बाद से देश नदी जलमार्गों की अपनी पुरातन ताकत को आधुनिक भारत के ट्रांसपोर्ट सिस्टम की बड़ी शक्ति बनाने में जुटा है। pic.twitter.com/3C7bJc84v9
— Narendra Modi (@narendramodi) January 13, 2023