પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન ધરાવતી સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ની ભાવના સાથે સમાજનાં જુદાં-જુદાં વર્ગોનાં લોકોનાં કલ્યાણ માટે સતત પ્રયાસરત છે. આ ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યસ્થળ સ્થિતિ બિલ, 2019 સંહિતાને સંસદમાં રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. એનાં માધ્યમથી બિલમાં શ્રમિકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યસ્થળની સ્થિતિઓ સાથે સંબંધિત વ્યવસ્થાઓની હાલની સરખામણીમાં અનેકગણી સારી બનાવી શકાશે.
નવી સંહિતાનાં માધ્યમથી 13 મહત્ત્વપૂર્ણ કેન્દ્રીય શ્રમ કાયદાઓની નીચેની વ્યવસ્થાઓને એકસાથે ભેળવીને સરળ અને તર્કસંગત બનાવવામાં આવી છેઃ
• કારખાનાં ધારો, 1948;
• ખાણ કાયદો 1952; બંદર શ્રમિક (સુરક્ષા, સ્વાસ્થ્ય અને કલ્યાણ) ધારો, 1986 ;
• મકાન અને અન્ય નિર્માણ કાર્ય (રોજગારીનું નિયમન અને સેવાની શરતો) ધારો, 1996
• બાગ શ્રમ ધારો 1951;
• કરારબદ્ધ શ્રમ (નિયમન અને નાબૂદી) ધારો, 1970
• આંતરરાજ્ય પ્રવાસી શ્રમિક (રોજગારનું નિયમન અને સેવાની શરતો) ધારો, 1979 ;
• શ્રમજીવી પત્રકાર અને અન્ય સમાચારપત્ર કર્મચારી (સેવાની શરતો અને અન્ય જોગવાઈ) ધારો, 1955;
• શ્રમજીવી પત્રકાર (નિર્ધારિત વેતન દર) ધારો, 1958;
• મોટર પરિવહન કામદાર ધારો, 1961 ;
• વેચાણ સંવર્ધન કર્મચારી (સેવાની શરતો) ધારો, 1976 ;
• બીડી અને સિગારેટ શ્રમિક (રોજગારીની શરતો) ધારો, 1966 ;
• સિનેમા કર્મચારી અને સિનેમા થિયેટર કર્મચારી ધારો, 1981. નવી સંહિતા લાગુ થવાની સાથે તમામ ઉપરોક્ત ધારા આ સંહિતામાં સમાઈ જશે અને અલગથી એમનું કોઈ અસ્તિત્વ નહીં રહે.
લાભ
સુરક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ અને કાર્યસ્થળોમાં કામકાજની શ્રેષ્ઠ સ્થિતિઓ શ્રમિકોનાં કલ્યાણની સાથે જ દેશનાં આર્થિક વિકાસ માટે પણ પહેલી શરત છે. દેશનું સ્વસ્થ કાર્યદળ વધારે ઉત્પાદક થશે અને કાર્યસ્થળોમાં સુરક્ષાની વધારે વ્યવસ્થા થવાથી દુર્ઘટનાઓમાં ઘટાડો થશે, જે કર્મચારીઓની સાથે કંપનીઓ માટે પણ લાભદાયક બની રહેશે. દેશનાં કાર્યદળ માટે સ્વસ્થ અને સુરક્ષિત કામકાજની સ્થિતિઓ ઉપલબ્ધ કરાવવાનાં ઉદ્દેશ સાથે નવી શ્રમ સંહિતાનો વ્યાપ હાલનાં 9 મોટાં ઔદ્યોગિક ક્ષેત્રોથી વધીને એ તમામ ઔદ્યોગિકો કંપનીઓ સુધી કરવામાં આવ્યો છે, જેમાં 10થી વધારે લોકો કામ કરે છે.
RP