Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્લૂ ઈકોનોમી એ આત્મનિર્ભર ભારતનું એક મહત્વનું સંસાધન બનવા જઈ રહી છે: પ્રધાનમંત્રી

બ્લૂ ઈકોનોમી એ આત્મનિર્ભર ભારતનું એક મહત્વનું સંસાધન બનવા જઈ રહી છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દરિયાકાંઠાનો વિકાસ અને મહેનતુ માછીમારોનું કલ્યાણ એ સરકારની મહત્વની પ્રાથમિકતાઓ પૈકીની એક છે. તેમણે બ્લૂ ઈકોનોમીમાં પરિવર્તન, દરિયાકાંઠાના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો અને દરિયાઈ ઇકો સિસ્ટમની સુરક્ષાને આવરી લેતો દરિયાકાંઠાના વિકાસ માટેનું એક વિસ્તૃત બહુ આયામી આયોજન રજૂ કર્યું હતું. આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોચી મેંગલુરુ નેચરલ ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી તેઓ આ મુજબ જણાવી રહ્યા હતા.

પ્રધાનમંત્રી બે દરિયા કિનારાના રાજ્યો કેરળ અને કર્ણાટકને સંબોધન કરી રહ્યા હતા એટલે તેમણે દરિયા કાંઠાના વિસ્તારના ઝડપી અને સંતુલિત વિકાસ ઉપર તેમના વિઝન વિષે વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટક, કેરળ અને અન્ય દક્ષિણ ભારતીય રાજ્યો જેવા દરિયા કિનારાના રાજ્યોમાં બ્લૂ ઈકોનોમીના વિકાસ માટેનો એક વ્યાપક પ્લાન અમલીકરણ અંતર્ગત છે. તેમણે કહ્યું કે બ્લૂ ઈકોનોમી એ આત્મનિર્ભર ભારતનું એક મહત્વનું સંસાધન બનવા જઈ રહી છે. બંદરો અને દરિયાઈ માર્ગોને મલ્ટી મોડલ કનેક્ટિવિટીના લક્ષ્ય સાથે જોડવામાં આવી રહ્યા છે. અમે આપણા દરિયાઈ પ્રદેશને જીવન જીવવાની સરળતા અને વેપાર કરવાની સરળતા માટેના આદર્શ નમૂનામાં પરિવર્તિત કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ, પ્રધાનમંત્રીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ દરિયા કાંઠાના વિસ્તારમાં રહેતા માછીમાર સમુદાયોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેઓ માત્ર દરિયાઈ સંપત્તિ ઉપર નિર્ભર જ નથી પરંતુ તેના સંરક્ષક પણ છે. આ જ કારણસર સરકારે દરિયાઈ ઇકો સિસ્ટમને સુરક્ષા આપવા માટે અને તેને સમૃદ્ધ બનાવવા માટે અનેક પગલાં લીધા છે. વધતી માંગ અને મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટે દરિયા કિનારાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવામાં આવી રહ્યું છે. માછીમારોને ઊંડા દરિયામાં ખેડાણ કરવામાં મદદ કરવી, અલગથી મત્સ્ય ઉછેર વિભાગ, સસ્તા ધિરાણ પૂરા પાડવા અને મત્સ્ય પાલન સંસ્કૃતિમાં સંકળાયેલા લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા વગેરે જેવા પગલાઓ ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય માછીમારો બંનેને મદદ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 20 હજાર કરોડ મત્સ્ય સંપદા યોજના વિષે પણ વાત કરી હતી કે જે કેરળ અને કર્ણાટકમાં લાખો માછીમારોને પ્રત્યક્ષ રીતે લાભ અપાવશે. ભારત મત્સ્યને લગતા નિકાસમાં તીવ્ર ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. ભારતને ગુણવત્તાયુક્ત પ્રોસેસ્ડ સી ફૂડનું કેન્દ્ર બનાવવા માટેના તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. ભારત વધી રહેલ સી-વિડ્સની માંગને પૂરી કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે કારણ કે ખેડૂતોને સી-વિડ્સ ફાર્મિંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

SD/GP/BT