પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 માર્ચનાં રોજ બપોરે 1:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રોજગાર પર બજેટ પછીનાં વેબિનારમાં સહભાગી થશે. વેબિનારના મુખ્ય વિષયોમાં લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ સામેલ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
રોજગાર નિર્માણ એ સરકારના મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક છે. પ્રધાનમંત્રીનાં વિઝનથી પ્રેરિત થઈને સરકારે રોજગારીમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને રોજગારીની વધારે તકો ઊભી કરવા માટે વિવિધ પગલાં લીધાં છે. આ વેબિનાર સરકાર, ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે, જેથી બજેટની પરિવર્તનકારી જાહેરાતોને અસરકારક પરિણામોમાં પરિવર્તિત કરવામાં મદદ મળી શકે. નાગરિકોને સશક્ત બનાવવા, અર્થતંત્રને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ વિચાર-વિમર્શનો ઉદ્દેશ સ્થાયી અને સર્વસમાવેશક વૃદ્ધિનો માર્ગ મોકળો કરવાનો રહેશે. ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ; અને કુશળ, તંદુરસ્ત કાર્યબળ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં લક્ષ્યાંકને સાકાર કરવા માટે કામ કરશે.