પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ છે, તેમણે આ કાર્યક્રમમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
દુનિયાભરના નિષ્ણાતો કહે છે કે 21મી સદી ભારતની છે. એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારત માત્ર તેના વિકાસને જ નહીં, પણ વિશ્વના વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે. જેમાં ઊર્જા ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓ પાંચ આધારસ્તંભ પર નિર્મિત છેઃ સંસાધનોનો ઉપયોગ કરવો, ઉત્કૃષ્ટ મનમાં નવીનતાને પ્રોત્સાહન આપવું, આર્થિક તાકાત અને રાજકીય સ્થિરતા, વ્યૂહાત્મક ભૂગોળ ઊર્જા વેપારને આકર્ષક અને સરળ બનાવવો તથા વૈશ્વિક સ્થિરતા માટે પ્રતિબદ્ધતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ પરિબળો ભારતનાં ઊર્જા ક્ષેત્રમાં નવી તકોનું સર્જન કરી રહ્યાં છે.
વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્ત્વપૂર્ણ છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ થશે. તેમણે નોંધ્યું હતું કે, ભારતનાં ઘણાં ઊર્જા લક્ષ્યાંકો વર્ષ 2030ની સમયમર્યાદા સાથે સુસંગત છે. જેમાં 500 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો ઉમેરો, ભારતીય રેલવે માટે શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવું અને વાર્ષિક ધોરણે 50 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન સામેલ છે. તેમણે સ્વીકાર્યું હતું કે, આ લક્ષ્યાંકો મહત્ત્વાકાંક્ષી લાગી શકે છે પણ વીતેલા દાયકાની સિદ્ધિઓએ આ લક્ષ્યાંકો હાંસલ થશે એવો આત્મવિશ્વાસ જગાવ્યો છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં દાયકામાં ભારત દસમું સૌથી મોટું અર્થતંત્ર હતું. જે સૌથી મોટું અર્થતંત્ર છે, જે છેલ્લાં દાયકામાં વધીને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતની સૌર ઊર્જાનાં ઉત્પાદનની ક્ષમતામાં 32 ગણો વધારો થયો છે. જેણે તેને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઊર્જા ઉત્પાદન કરતો દેશ બનાવ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતની બિન–અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતા ત્રણ ગણી વધી ગઈ છે અને ભારત પેરિસ સમજૂતીનાં લક્ષ્યાંકો હાંસલ કરનારો પ્રથમ જી-20 દેશ છે. પ્રધાનમંત્રીએ ભારતની એથનોલના મિશ્રણમાં ભારતની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો. જેમાં વર્તમાન દર ઓગણીસ ટકા છે. જે વિદેશી હૂંડિયામણની બચત, ખેડૂતોની નોંધપાત્ર આવક અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડા તરફ દોરી જશે. તેમણે ઓક્ટોબર, 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલ જનાદેશ હાંસલ કરવાનાં ભારતનાં લક્ષ્યાંક પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારતનો જૈવિક–બળતણ ઉદ્યોગ 500 મિલિયન મેટ્રિક ટન ટકાઉ ફીડસ્ટોક સાથે ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, ભારતનાં જી20નાં રાષ્ટ્રપતિ પદ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સની સ્થાપના થઈ હતી અને તેનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે. જેમાં અત્યારે 28 દેશો અને 12 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જોડાણ કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી રહ્યું છે અને ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરી રહ્યું છે.
ભારત તેના હાઇડ્રોકાર્બન સંસાધનોની શક્યતાને સંપૂર્ણપણે ચકાસવા સતત સુધારા કરી રહ્યું છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ગેસની માળખાગત સુવિધાઓની મુખ્ય શોધો અને વિસ્તૃત વિસ્તરણ ગેસ ક્ષેત્રની વૃદ્ધિમાં પ્રદાન કરી રહ્યું છે. જેણે ભારતના ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વધાર્યો છે. તેમણે નોંધ્યું હતું કે, ભારત હાલમાં ચોથું સૌથી મોટું રિફાઇનિંગ હબ છે અને તેની ક્ષમતામાં 20 ટકાનો વધારો કરવા માટે કામ કરી રહ્યું છે.
ભારતના જળકૃત તટપ્રદેશો અસંખ્ય હાઇડ્રોકાર્બન સંસાધનો ધરાવે છે. જેમાંથી કેટલાકની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે અન્યો સંશોધનની રાહ જોઈ રહ્યા છે એ બાબત તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં અપસ્ટ્રીમ ક્ષેત્રને વધારે આકર્ષક બનાવવા સરકારે ઓપન એકરેજ લાઇસન્સિંગ નીતિ (ઓએએલપી) પ્રસ્તુત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે આ ક્ષેત્રને વિસ્તૃત ટેકો પૂરો પાડ્યો છે. જેમાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ખોલવાનો અને સિંગલ–વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમની સ્થાપના સામેલ છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ઓઇલફિલ્ડ્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટમાં ફેરફારો હવે હિતધારકોની નીતિગત સ્થિરતા, ભાડાપટ્ટા પર વિસ્તૃત અને સુધારેલી નાણાકીય શરતો પ્રદાન કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સુધારાઓ દરિયાઈ ક્ષેત્રમાં ઓઇલ અને ગેસ સંસાધનોની શોધને સરળ બનાવશે, ઉત્પાદનમાં વધારો કરશે અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારો જાળવી રાખશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેટલીક શોધો અને ભારતમાં પાઇપલાઇનની માળખાગત સુવિધાઓના વિસ્તરણને કારણે કુદરતી ગેસનો પુરવઠો વધી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી નજીકનાં ભવિષ્યમાં કુદરતી ગેસનાં ઉપયોગમાં વધારો થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રોમાં રોકાણની અસંખ્ય તકો છે.
શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારતનું મુખ્ય ધ્યાન મેક ઇન ઇન્ડિયા અને સ્થાનિક પુરવઠા શૃંખલાઓ પર કેન્દ્રિત છે.” તેમણે ભારતમાં પીવી મોડ્યુલ્સ સહિત વિવિધ પ્રકારનાં હાર્ડવેરનાં ઉત્પાદન માટે નોંધપાત્ર સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત સ્થાનિક ઉત્પાદનને ટેકો આપી રહ્યું છે, જેમાં છેલ્લાં 10 વર્ષમાં સોલર પીવી મોડ્યુલની ઉત્પાદન ક્ષમતા 2 ગિગાવોટથી વધીને આશરે 70 ગિગાવોટ થઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાએ આ ક્ષેત્રને વધારે આકર્ષક બનાવ્યું છે. જે ઉચ્ચ કાર્યદક્ષતા ધરાવતા સોલર પીવી મોડ્યુલનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.
બેટરી અને સંગ્રહ ક્ષમતાના ક્ષેત્રમાં નવીનીકરણ અને ઉત્પાદન માટે નોંધપાત્ર તકોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત ઝડપથી ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ આગેકૂચ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં આટલા મોટા દેશની માગણીઓ પૂર્ણ કરવા ઝડપી કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ચાલુ વર્ષનાં અંદાજપત્રમાં ગ્રીન એનર્જીને ટેકો આપતી અસંખ્ય જાહેરાતો સામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ઇવી અને મોબાઇલ ફોન બેટરીના ઉત્પાદન સાથે સંબંધિત કેટલીક વસ્તુઓને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. તેમાં કોબાલ્ટ પાવડર, લિથિયમ–આયન બેટરીનો કચરો, સીસું, ઝિંક અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોનો સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ્સ મિશન ભારતમાં મજબૂત સપ્લાય ચેઇનનું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે નોન–લિથિયમ બેટરી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના અંદાજપત્રે પરમાણુ ઊર્જા ક્ષેત્રનો શુભારંભ કર્યો છે અને ઊર્જામાં થતું દરેક રોકાણ યુવાનો માટે નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે અને હરિયાળી રોજગારી માટે તકોનું સર્જન કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતના ઊર્જા ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકાર જનતાને સશક્ત બનાવી રહી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારો અને ખેડૂતોને ઊર્જા પ્રદાતા બનાવવામાં આવ્યા છે. તેમણે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના ગયા વર્ષે શરૂ થઈ હતી અને તેનો વિસ્તાર ઊર્જા ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી. તેમણે નોંધ્યું હતું કે, આ યોજના સૌર ક્ષેત્રમાં નવા કૌશલ્યોનું સર્જન કરી રહી છે, નવી સેવા ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે અને રોકાણની તકોમાં વધારો કરી રહી છે.
પોતાનાં સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ ઊર્જા સમાધાનો પ્રદાન કરવાની ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. જે પ્રકૃતિની વૃદ્ધિ અને સમૃદ્ધિને ઊર્જા પ્રદાન કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ઊર્જા સપ્તાહ આ દિશામાં નક્કર પરિણામો લાવશે. તેમણે દરેકને ભારતમાં ઉદભવતી દરેક શક્યતાઓની શોધ કરવા પ્રોત્સાહિત કર્યા અને તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી.
Sharing my remarks at the @IndiaEnergyWeek. https://t.co/LR166lIqyF
— Narendra Modi (@narendramodi) February 11, 2025
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Sharing my remarks at the @IndiaEnergyWeek. https://t.co/LR166lIqyF
— Narendra Modi (@narendramodi) February 11, 2025