Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટ રચવાની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં જાહેરાત કરી હતી કે, સર્વોચ્ચ અદાલતના આદેશાનુસાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે એક ટ્રસ્ટ રચવામાં આવશે જે બાંધકામ સંબંધિત તમામ બાબતો પર ધ્યાન આપશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્દેશોના આધારે અમારી સરકારે આજે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટની રચના કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ સંબંધિત તમામ નિર્ણયો લેવા માટે મુક્ત રહેશે.”

આ નિર્ણય અયોધ્યા મામલે સર્વોચ્ચ અદાલતે આપેલા ઐતિહાસિક ચુકાદા પ્રમાણે છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નામદાર સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર સુન્ની વકફ બોર્ડ માટે 5 એકર જમીનની ફાળવણી કરવા બાબતે સરકારે ઉત્તરપ્રદેશની સરકારને વિનંતી કરી હતી અને રાજ્ય સરકારે આ વિનંતી પર સંમતી દાખવી છે.

આપણે સૌ ભારતીય નીતિ, ભાવના, આદર્શો અને સંસ્કૃતિમાં કરેલા ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રી રામ અને અયોધ્યા સાથે સંકળાયેલા ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ વિશે જાણીએ છીએ.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને ભવિષ્યમાં રામલલ્લાના દર્શને આવનારા ભક્તોને ધ્યાનમાં રાખીને સરકારે અન્ય એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે, આ પ્રકારે રચવામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને હસ્તગત કરવામાં આવેલી અંદાજે 67.703 એકર જમીન સોંપી દેવામાં આવશે.”

ભારતના લોકોએ દાખવેલા સંયમને પ્રધાનમંત્રીએ બિરદાવ્યો

પ્રધાનમંત્રીએ વધુમાં, અયોધ્યા મામલે નામદાર સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાના પગલે દેશમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે તમામ લોકોએ દાખવેલી પરિપકવતાની પણ પ્રશંસા કરી હતી.

તેમણે એક અલગ ટ્વીટમાં પણ આ બાબતોનો પુનરોચ્ચાર કર્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, “ભારતના લોકોએ લોકશાહી પ્રક્રિયા અને કાર્યવાહીમાં સીમાચિહ્નરૂપ વિશ્વાસ બતાવ્યો છે. હું ભારતના 130 કરોડ લોકોને વંદન કરું છુ.”

ભારતમાં તમામ સમુદાયો એક વિરાટ પરિવાર સભ્યોની જેમ રહે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌ એક વિરાટ પરિવારના સભ્યો છીએ. આ જ તો ભારતની નીતિ છે. અમે ઇચ્છીએ છીએ કે દરેક ભારતીય ખુશ અને તંદુરસ્ત હોય. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ને ધ્યાનમાં રાખીને અમે દરેક ભારતીયના કલ્યાણ માટે કામ કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ચાલો સૌ સાથે મળીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવાની દિશામાં કામ કરીએ.”

DK/SD/DS/GP/BT