Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રગતિ મારફતે પ્રધાનમંત્રીની બેઠક


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ દ્વારા તેમની 22મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રગતિની અગાઉની 21 બેઠકોમાં કુલ રૂ. 8.94 લાખ કરોડનાં રોકાણ સાથે 190 પ્રોજેક્ટ્સની કુલ સમીક્ષા કરવામાં આવી હતી.વળી 17 ક્ષેત્રોમાં સરકારી ફરિયાદોનાં નિવારણની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આજે 22મી બેઠકમાં પ્રધાનમંત્રીએ બેંકિંગ ક્ષેત્ર સાથે સંબંધિત ફરિયાદોનું સંચાલન અને નિવારણ કરવા માટે થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓનાં સચિવને રુપે ડેબિટ કાર્ડ્સનો ઉપયોગ વધારવાનાં વિકલ્પો ચકાસવા જણાવ્યું હતું. આ કાર્ડ જન ધન ખાતાધારકોને ઇશ્યૂ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીને જન ધન ખાતાધારકોને તેમનાં ખાતા સાથે લિન્ક કરવામાં આવેલ વીમાની જોગવાઈઓનાં ભાગરૂપે પ્રાપ્ત રાહત વિશે પણ ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ રેલવે, રોડ, પાવર, કોલસા અને ગેસ પાઇપલાઇન ક્ષેત્રોમાં નવ માળખાગત પ્રોજેક્ટ્સમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ તેલંગણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ, કેરળ, તમિલનાડુ, છત્તિસગઢ, ઝારખંડ અને દિલ્હી સહિત કેટલાંક રાજ્યોમાં પથરાયેલા છે. ઇન્ડિયા મ્યાનમાર ફ્રેન્ડશિપ બ્રીજની પણ સમીક્ષા થઈ હતી. આ પ્રોજેક્ટ્સનું કુલ મૂલ્ય રૂ. 37,000 કરોડ કરતા વધુ છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેરિટેજ શહેર વિકાસ અને વિસ્તરણ યોજના (હૃદય) અને દિવ્યાંગ માટે સુગમ્ય ભારત અભિયાન (એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન)ની પ્રગતિની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે કેન્દ્ર સરકારનાં નાણાં વિભાગો અત્યારે ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)નો ઉપયોગ કરે છે, જ્યારે ફક્ત 10 રાજ્યોએ અત્યાર સુધી તેનો ઉપયોગ કરવા આતુરતા દાખવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જીઇએમ ખરીદીને વેગ આપે છે અને પારદર્શકતા વધારે છે, તેમજ સ્થાનિક સ્તરે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. તેમણે તમામ મુખ્ય સચિવોને લીકેજ અને વિલંબ લઘુતમ કરવા શક્ય તમામ ઉપાયોનો ઉપયોગ ચકાસવા જણાવ્યું હતું.

જીએસટી પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશનાં વેપારીઓ સકારાત્મક છે અને કરવેરાની આ નવી વ્યવસ્થા અપનાવી લીધી છે, ત્યારે તેમની સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકાય તેવી કામગીરી કરવાની તાતી જરૂર છે. તેમણે મુખ્ય સચિવોને આ સંબંધમાં જિલ્લા વહીવટીતંત્રનો ઉપયોગ કરવા અપીલ કરી હતી, જેથી નાનાં વેપારીઓ નવી વ્યવસ્થા સરળતાપૂર્વક અને ઝડપથી અપનાવી શકે. તેમણે ભાર મૂક્યો હતો કે, નાનાં વ્યવસાયોએ પણ જીએસટી નેટવર્કમાં નોંધણી કરાવવી જોઈએ, જેથી તેઓ વ્યાવસાયિક તકોનો લાભ લઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક અને વેપારીને આ ઐતિહાસિક કરવેરા વ્યવસ્થાથી લાભ થવો જોઈએ.

પ્રધાનમંત્રીએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને લેસ કેશ સોસાયટીનું સર્જન કરવા માટે કાયમી પ્રયાસો કરવા પણ અપીલ કરી હતી.

NP/J.Khunt