Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની 151મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’ના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની 151મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’ના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર!
કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી, આચાર્ય શ્રી વિજય ચિદાનંદ સૂરિજી, આચાર્ય શ્રી જયાનંદ સૂરિજી, મહોત્સવના માર્ગદર્શક મુનિ શ્રી મોક્ષાનંદ વિજયજી, શ્રી અશોક જૈનજી, શ્રીમાન સુધીર મહેતાજી, શ્રી રાજકુમારજી, શ્રી ઘીસુલાલજી અને આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિજીના તમામ સાથી અનુયાયીઓ. આપ સૌને યુગદૃષ્ટા, વિશ્વવંદ્ય વિભૂતિ, કલિકાલ કલ્પતરૂ, પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિજીના 150મા જન્મ વર્ષ મહામહોત્સવની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

આ નવું વર્ષ આધ્યાત્મિક આભાનું વર્ષ છે, પ્રેરણા આપનારું વર્ષ છે. તે મારુ સૌભાગ્ય છે કે મને આ આયોજનમાં સામેલ થવાનો, આપ સૌ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે. જન્મ વર્ષ મહોત્સવના માધ્યમથી જ્યાં એક બાજુ ભગવાન શ્રી મહાવીર સ્વામીના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતોને પ્રસારિત કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ સાથે જ ગુરુ વલ્લભના સંદેશને પણ જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ભવ્ય આયોજનો માટે હું ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજને પણ ખાસ કરીને અભિનંદન આપું છું. તમારા દર્શન, આશીર્વાદ અને સાનિધ્યનું સૌભાગ્ય મને વડોદરા અને છોટા ઉદેપુરના કવાંટ ગામમાં પણ પ્રાપ્ત થયું હતું. આજે ફરી તમારી સામે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો છે જેને હું મારુ એક પુણ્ય કર્મ માનું છું. સંતજન આચાર્ય શ્રીમદ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ કહેતા હોય છે કે ગુજરાતની ધરતીએ આપણને બે વલ્લભ આપ્યા છે અને હમણાં હમણાં તાજેતરમાં જ આ વાતનો ઉલ્લેખ થયો હતો. રાજનીતિક ક્ષેત્રમાં સરદાર વલ્લભ ભાઈ પટેલ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જૈનાચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ. આમ તો હું બંને મહાપુરુષોમાં એક સમાનતા બીજી પણ જોઉ છું. બંનેએ ભારતની એકતા અને ભાઇચારા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. મારું સૌભાગ્ય છે કે મને દેશે સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વના સૌથી ઊંચા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવાનો અવસર આપ્યો હતો અને આજે જૈનાચાર્ય વિજય વલ્લભજીના ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે. 

સંતજન,
ભારતે હંમેશથી સમગ્ર વિશ્વને માનવતાને, શાંતિ, અહિંસા અને બંધુત્વનો માર્ગ પ્રદર્શિત કર્યો છે. આ તે સંદેશ છે કે જેની પ્રેરણા વિશ્વને ભારત પાસેથી મળે છે. આ જ માર્ગદર્શન માટે દુનિયા આજે એક વાર ફરી ભારતની બાજુ જોઈ રહી છે. મને વિશ્વાસ છે કે આ ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’, વિશ્વમાં શાંતિ, અહિંસા અને સેવાનો વધુ એક પ્રેરણા સ્ત્રોત બનશે. 

સાથીઓ, 
આચાર્ય વિજય વલ્લભજી કહેતા હતા કે – “ધર્મ એ કોઈ તટબંધોમાં બંધાયેલ સરોવર નથી, પરંતુ એક વહેતી ધારા છે કે જે સૌને સમાન રૂપે ઉપલબ્ધ હોવી જોઈએ”. તેમનો આ સંદેશ સંપૂર્ણ વિશ્વ માટે અત્યંત પ્રાસંગિક છે. તેમના જીવનનો જે વિસ્તાર રહ્યો છે, તેમાં જરૂરી છે કે તેમના વિષયમાં વારંવાર વાત કહેવામાં આવે, તેમના જીવન દર્શનનો પુનરોચ્ચાર કરવામાં આવે. તેઓ એક તત્વજ્ઞાની પણ હતા, સમાજ સુધારક પણ હતા. તેઓ દૂરદ્રષ્ટા પણ હતા અને જન સેવક પણ હતા. તેઓ તુલસીદાસ, આનંદઘન અને મીરાંની જેમ પરમાત્માના ભક્ત કવિ પણ હતા અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા પણ હતા. એવા સંજોગોમાં એ અત્યંત જરૂરી છે કે તેમનો સંદેશ, તેમની શિક્ષાઓ અને તેમનું જીવન આપણી નવી પેઢી સુધી પણ પહોંચે. 

સાથીઓ, 
ભારતનો ઇતિહાસ તમે જોશો તો તમને અનુભવ થશે કે જ્યારે પણ ભારતને આંતરિક પ્રકાશની જરૂર ઊભી થઈ છે, સંત પરંપરામાંથી કોઈ ને કોઈ સુર્ય ઉદય થયો છે. કોઈ ને કોઈ મોટા સંત દરેક કાળખંડમાં આપણાં દેશમાં રહ્યા છે જેમણે તે કાળખંડને જોઈને સમાજને દિશા આપી છે. આચાર્ય વિજય વલ્લભજી આવા જ એક સંત હતા. ગુલામીના તે સમયમાં તેમણે દેશના ગામ ગામ, નગર નગરમાં પગે ચાલીને યાત્રાઓ કરી, દેશની અસ્મિતાને જગાડવાના ભગીરથ પ્રયાસો કર્યા. આજે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આઝાદીના આંદોલનના એક પાસાને તો દુનિયાની સામે કોઈ ને કોઈ રૂપે આપણે આપણાં આંખ અને કાન પાસે થઈને પસાર થવા દીધું છે પરંતુ એ વાતને હંમેશા યાદ રાખવી પડશે કે ભારતની આઝાદીના આંદોલનની પૂર્વ ભૂમિકા ભક્તિ આંદોલનથી શરૂ થઈ હતી. જન જનને ભક્તિ આંદોલનના માધ્યમથી હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં સંતો, મહંતો, ઋષિ મુનિઓએ, આચાર્યોએ, ભગવંતોએ તે ચેતનાને જાગૃત કરી હતી. એક પૂર્વ ભૂમિકા તૈયાર કરી હતી અને તે પૂર્વ ભૂમિકાએ પછીથી આઝાદીના આંદોલનમાં ઘણી મોટી તાકાત આપી હતી અને તે સંપૂર્ણ પૂર્વ ભૂમિકાને તૈયાર કરનારાઓ જે દેશના અનેક સંતો હતા તેમાં એક વલ્લભ ગુરુ પણ હતા. ગુરુ વલ્લભનું ઘણું મોટું યોગદાન હતું જેણે આઝાદીના આંદોલનની પૂર્વ ભૂમિકા નિશ્ચિત કરી હતી પરંતુ આજે 21મી સદીમાં હું આચાર્યો, સંતો, ભગવંતોને, કથાકારોને એક આગ્રહ કરવા માંગુ છું કે જે રીતે આઝાદીના આંદોલનની પૂર્વ ભૂમિકા ભક્તિ આંદોલન વડે શરૂ થઈ હતી, ભક્તિ આંદોલને તાકાત આપી હતી તે જ રીતે આત્મનિર્ભર ભારતની પૂર્વ ભૂમિકા તૈયાર કરવાનું કામ પણ આપણાં સંતો, મહંતો, આચાર્યોનું જ છે. તમે જ્યાં પણ જાવ, જ્યાં પણ બોલો, તમારા શિષ્યો હોય કે સંતજન હોય, તમારા મોંઢેથી સતત એ સંદેશ દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચતો રહેવો જોઈએ અને તે સંદેશ છે ‘વોકલ ફોર લોકલ’. જેટલું વધારે આપણાં કથાકારો, આપણાં આચાર્યો, આપણાં ભગવંતો, આપણાં સંતજનો તેમના તરફથી વાત જેટલી વધારે વખત આવશે, જે રીતે તે સમયે આઝાદીની પૂર્વ ભૂમિકા આપ સૌ આચાર્યો, સંતો, મહંતોએ કરી હતી તેવી જ આઝાદીની પૂર્વ ભૂમિકા આત્મનિર્ભર ભારતની પૂર્વ ભૂમિકા તમે બધા તૈયાર કરી શકો છો અને એટલા માટે હું આજે દેશના બધા જ સંતો, મહાપુરુષોના ચરણોમાં આગ્રહ પૂર્વક નિવેદન કરી શકું છું. પ્રધાન સેવકના રૂપમાં નિવેદન કરી શકું છું કે આવો, આપણે આ બાબત માટે આગળ વધીએ. કેટલાય સ્વતંત્રતા સંગ્રામ સેનાની આ મહાપુરુષો પાસેથી પ્રેરણા લેતા હતા. પંડિત મદન મોહન માલવીય, મોરારજી ભાઈ દેસાઇ જેવા કેટલાય જનનેતા તેમનું માર્ગદર્શન લેવા માટે તેમની પાસે જતાં હતા. તેમણે દેશની આઝાદી માટે પણ સ્વપ્ન જોયું છે આઝાદ ભારત કેવું હોય, તેની પણ રૂપરેખા ખેંચી હતી. સ્વદેશી અને આત્મનિર્ભર ભારત માટે તેમનો વિશેષ આગ્રહ હતો. તેમણે આખા જીવન દરમિયાન ખાદી પહેરી, સ્વદેશીને અપનાવ્યું, અને સ્વદેશીનો સંકલ્પ પણ અપાવ્યો. સંતોનો વિચાર કઈ રીતે અમર અને ચિરંજીવી હોય છે, આચાર્ય વિજય વલ્લભજીના પ્રયાસ તેનું સાક્ષાત ઉદાહરણ છે. દેશની માટે જે સ્વપ્ન તેમણે આઝાદી પહેલા જોયું હતું, તે વિચાર આજે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના માધ્યમથી સિદ્ધિ તરફ વધી રહ્યું છે.

સાથીઓ,
મહાપુરુષોનો, સંતોનો વિચાર એટલા માટે અમર હોય છે કારણ કે તેઓ જે કહે છે, જે બોલે છે તે જ પોતાના જીવનમાં જીવતા પણ હોય છે. આચાર્ય વિજય વલ્લભજી કહેતા હતા કે – “સાધુ મહાત્માઓનું કર્તવ્ય માત્ર પોતાની આત્માનું કલ્યાણ કરવામાં જ સમાપ્ત નથી થઈ જતું. તેમનું એ પણ કર્તવ્ય હોય છે કે તેઓ અજ્ઞાન, કંકાશ, બેકારી, વિષમતા, અંધશ્રદ્ધા, આળસ, વ્યસન અને ખરાબ રીત રિવાજો કે જેનાથી સમાજના હજારો લોકો પીડા ભોગવી રહ્યા છે તેમના નાશ માટે પણ હંમેશા પ્રયત્ન કરે.” તેમના આ જ સામાજિક દર્શન વડે પ્રેરિત થઈને આજે તેમની પરંપરામાં કેટલાય યુવાનો સમાજ સેવા સાથે જોડાઈ રહ્યા છે, સેવાનો સંકલ્પ લઈ રહ્યા છે. સંતજન, તમે બધા પણ એ વાત સારી રીતે જાણો છો કે સેવા, શિક્ષા અને આત્મનિર્ભરતા દ્વારા આ વિષય આચાર્ય શ્રીના હ્રદયમાં સૌથી નજીક હતો. ગુલામીના કાળખંડના તમામ પડકારો છતાં તેમણે જુદી જુદી જગ્યાઓએ શિક્ષણનો પ્રચાર પણ કર્યો. ગુરકુળો, વિદ્યાલયો અને મહાવિદ્યાલયોની સ્થાપનાઓ કરી. તેમણે આહ્વાન કર્યું હતું કે – “ઘરે ઘરે વિદ્યાનો દીપ પ્રજ્વલિત થાય.” પરંતુ તેઓ એ વાત પણ સારી રીતે જાણતા હતા કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ શિક્ષણ વ્યવસ્થા ભારતની આઝાદી અને પ્રગતિમાં મદદગાર નથી થઈ શકતી. એટલા માટે તેમણે જે વિદ્યાલયો, મહાવિદ્યાલયોની સ્થાપના કરી, ત્યાં શિક્ષણને ભારતીયતાનું માળખું અને ભારતીય રંગ આપ્યો જે રીતે મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠનું સપનું જોયું હતું તેવું જ સપનું ગુરુ વલ્લભે પણ જોયું હતું. એક રીતે જોઈએ તો આચાર્ય વિજય વલ્લભજીએ શિક્ષણના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં ભારતીય સંસ્કારોવાળા ઘણા બધા શિક્ષણ સંસ્થાઓની આધારશીલા રાખી હતી. આજે તેમના આશીર્વાદ વડે અનેક શિક્ષણ સંસ્થાન દેશમાં કામ કરી રહ્યા છે.

સાથીઓ,
આચાર્યજીના આ શિક્ષણ સંસ્થાન આજે એક ઉપવનની જેમ છે. આ ભારતીય મૂલ્યોની પાઠશાળા બનીને દેશની સેવા કરી રહ્યા છે. સો વર્ષોથી વધુની આ યાત્રામાં કેટલાય પ્રતિભાશાળી યુવાનો આ સંસ્થાનોમાંથી નીકળ્યા છે. કેટલાય ઉદ્યોગપતિઓ, ન્યાયાધીશો, ડૉક્ટર્સ અને એન્જિનિયર્સે આ સંસ્થાનોમાંથી નીકળીને દેશની માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ સંસ્થાનોની બીજી પણ એક વિશેષ વાત રહી છે – સ્ત્રી શિક્ષણ, નારી શિક્ષણ. સ્ત્રી શિક્ષણના ક્ષેત્રમાં આ સંસ્થાનોએ જે યોગદાન આપ્યું છે. દેશ આજે તેનો ઋણી છે. તેમણે મુશ્કેલ સમયમાં પણ સ્ત્રી શિક્ષણની અલખ જગાડી હતી. અનેક બાલિકાશ્રમ સ્થાપિત કરાવ્યા છે અને મહિલાઓને મુખ્યધારા સાથે જોડ્યા છે. જૈન સાધ્વીઓને સભામાં પ્રવચન અપાવવાની પરંપરા વિજય વલ્લભજીએ જ તો શરૂ કરાવી હતી. તેમના આ પ્રયાસોનો સંદેશ એ જ હતો કે મહિલાઓને સમાજમાં, શિક્ષણમાં સમાનતાનો દરજ્જો મળે. ભેદભાવવાળી વિચારધારા અને પ્રથાઓ નાબૂદ થાય. આજે તમે ધ્યાન આપશો તો ખબર પડશે કે દેશમાં આ દિશામાં કેટલાય પરિવર્તનો થયા છે. ત્રણ તલાક જેવી કુપ્રથાઓ વિરુદ્ધ દેશે કાયદો બનાવ્યો છે. મહિલાઓ માટે એવા ક્ષેત્રોને પણ ખોલવામાં આવી રહ્યા છે કે જ્યાં અત્યાર સુધી તેમના કામ કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી હતી. હવે દેશની દીકરીઓને સેનામાં પોતાનું શૌર્ય દેખાડવા માટે તેમને પણ વધુ વિકલ્પ મળી રહ્યા છે. તેની સાથે જ નવી ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ’ હવે દેશમાં લાગુ થવાની છે. આ નીતિ શિક્ષણને ભારતીય પરિવેશમાં આધુનિક બનાવવાની સાથે સાથે મહિલાઓ માટે પણ નવા અવસરો તૈયાર કરશે. 

સાથીઓ,
આચાર્ય વિજય વલ્લભજી કહેતા હતા કે – રાષ્ટ્રના કર્તવ્યોની ઉપેક્ષા નહીં અનુપાલન કરવું જોઈએ. તેઓ પોતાના જીવનમાં પણ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને જીવતા હતા. માનવતાના આ સત્ય પર ચાલીને તેમણે જાતિ, પંથ, સંપ્રદાયની સીમાઓની બહાર જઈને સૌના વિકાસ માટે કામ કર્યું હતું. તેમણે સમાજના સક્ષમ વર્ગને પ્રેરિત કર્યા હતા કે વિકાસની છેલ્લી હરોળમાં રહેનારા સામાન્ય લોકોની સેવા કરે, જે વાત મહાત્મા ગાંધી કહેતા હતા તે વાત ગુરુ વલ્લભજી કરીને બતાવતા હતા. તેમણે ગરીબમાં ગરીબ સમાજના છેક છેલ્લા વ્યક્તિને પણ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. તેમની આ પ્રેરણાનો પ્રભાવ તમે આપણે અને તમે આખા દેશભરમાં જોઈ રહ્યા છો. તેમની જ પ્રેરણાથી દેશના અનેક શહેરોમાં ગરીબો માટે ઘર બન્યા છે, દવાખાના બન્યા, તેમને રોજગારના અવસરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આજે દેશભરમાં આત્મવલ્લભ નામથી કેટલીય સંસ્થાઓ ગરીબ બાળકોના ભવિષ્યની જવાબદારી ઉપાડી રહી છે, માતાઓ બહેનોને જીવન જીવવા માટે નિર્ધન બીમાર લોકોને ઈલાજ માટે સહાયતા કરી રહી છે. 

સાથીઓ,
આચાર્ય વિજય વલ્લભજીનું જીવન દરેક જીવ માટે દયા, કરુણા અને પ્રેમથી ઓતપ્રોત હતું. એટલા માટે તેમના આશીર્વાદથી આજે જીવ દયા માટે પક્ષીઓનું દવાખાનું અને અનેક ગૌશાળાઓ પણ દેશમાં ચાલી રહી છે. આ કોઈ સામાન્ય સંસ્થાન નથી. આ ભારતની ભાવનાનું અનુષ્ઠાન છે. આ ભારત અને ભારતીય મૂલ્યોની ઓળખ છે. 

સાથીઓ,
આજે દેશ આચાર્ય વિજય વલ્લભજીના તે જ માનવીય મૂલ્યોને મજબૂત કરી રહ્યા છે, જેમની માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી હતી. કોરોના મહામારીનો આ મુશ્કેલ સમય આપણાં સેવાભાવ, આપણી એકતા માટે કસોટી જેવો હતો. પરંતુ મને સંતોષ છે કે દેશ આ કસોટીમાંથી ખરો ઉતરી રહ્યો છે. દેશે ગરીબ કલ્યાણની ભાવનાને માત્ર જીવિત જ નથી રાખી પરંતુ દુનિયાની સામે એક ઉદાહરણ પણ રજૂ કર્યું છે. 

સાથીઓ, 
આચાર્ય વિજય વલ્લભ સૂરિજી કહેતા હતા કે – તમામ પ્રાણીઓની સેવા કરવી એ જ દરેક ભારતવાસીનો ધર્મ છે. આજે તેમના આ જ વચનને આપણે આપણો મંત્ર બનાવીને આગળ વધવાનું છે. આપણે આપણાં દરેક પ્રયાસમાં એ વિચારવાનું છે કે તેનાથી દેશને શું લાભ થશે, દેશના ગરીબનું કલ્યાણ કેવી રીતે થશે. મેં જે રીતે શરૂઆતમાં જ કહ્યું હતું કે – ‘વોકલ ફોર લોકલ’ તેનું એક બહુ મોટું માધ્યમ છે અને તેનું નેતૃત્વ સંત જગતે ઉપાડવું જ પડશે. સંતો, મહંતો, મુનિઓએ આ મંત્રને આગળ વધારવો જ પડશે. આ વખતે દિવાળી અને બધા તહેવારો પર જે રીતે દેશે સ્થાનિક અર્થતંત્રને બરાબર સમર્થન આપ્યું છે તે ખરેખર એક નવી ઉર્જા આપનારું છે. આ વિચારધારાને, આ પ્રયાસને આપણે પણ આગળ જાળવી રાખવાનો છે. આવો, આચાર્ય વિજય વલ્લભજીની 150મી જયંતી પર આપણે સૌ સંકલ્પ લઈએ કે તેમણે જે કાર્ય પોતાના જીવનમાં શરૂ કર્યા હતા, તે તમામ કાર્યોને આપણે સંપૂર્ણ લગન સાથે, સંપૂર્ણ સમર્પણ ભાવની સાથે તે બધા જ કામોને હળી મળીને આગળ વધારીશું. આપણે બધા સાથે મળીને ભારતને આર્થિક જ નહિ વૈચારિક રૂપે પણ આત્મનિર્ભર બનાવીશું. આ જ સંકલ્પની સાથે આપ સૌને અનેક અનેક શુભકામનાઓ. તમે બધા સ્વસ્થ રહો, સુખી રહો. તમામ આચાર્યો, ભગવંતોને હું પ્રણામ કરીને, તમામ સાધ્વી મહારાજના પણ મને અહીંથી દર્શન થઈ રહ્યા છે તે સૌને પણ પ્રણામ કરીને આજે આ પવિત્ર અવસર પર મને આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો, એ મારુ સૌભાગ્ય છે. હું ફરી એકવાર તમામ સંતો, મહંતો, આચાર્યોને પ્રણામ કરીને મારી વાણીને વિરામ આપું છું. 

ખૂબ-ખૂબ આભાર!

 

SD/GP/BT