Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્ટરનેશનલ વેસાક ડેની ઉજવણીના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનું સંબોધન

ઇન્ટરનેશનલ વેસાક ડેની ઉજવણીના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનું સંબોધન

ઇન્ટરનેશનલ વેસાક ડેની ઉજવણીના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનું સંબોધન

ઇન્ટરનેશનલ વેસાક ડેની ઉજવણીના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનું સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલંબોમાં બાંદારાનાયક મેમોરિયલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોલમાં ઇન્ટરનેશનલ વેસાક ડેની ઉજવણીના ઉદ્ઘાટન સમારંભમાં આજે સંબોધન કર્યું હતું.

 

અહીં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરિસેના અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રેમસિંઘેએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. સમારંભમાં ડ્રમર્સ અને પરંપરાગત નૃત્યકારોએ પ્રધાનમંત્રીને આવકાર આપ્યો હતો, જેમણે ઓડિટોરિયમના પ્રવેશદ્વાર પર દીપ પ્રકટાવ્યો હતો.

 

સમારંભની શરૂઆત બૌદ્ધ સંપ્રદાયના 5 ઉપદેશોના પઠન સાથે થઈ હતી. સ્વાગત પ્રવચન શ્રીલંકાના બુદ્ધ સાસન અને ન્યાયમંત્રી શ્રી વિજયદાસ રાજપક્સેએ કર્યું હતું. તેમણે નરેન્દ્ર મોદીને સંબોધન કરતા કહ્યું હતું કે, “શ્રીલંકામાં અમારા માટે તમે અમારા પૈકીના એક છો.”

 

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરિસેનાએ જણાવ્યું હતું કે, આજે અહીં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે એ આપણું સદભાગ્ય છે. તેમણે બંને દેશો વચ્ચે પ્રાચીન સંબંધો વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે વેસાક ડે નિમિત્તે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિ અતિ મહત્વપૂર્ણ છે અને તેની નોંધ સંપૂર્ણ વિશ્વએ લીધી છે. તેઓ મૈત્રી અને શાંતિનો સંદેશ લઈને આવ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું.

 

પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં વેસાકને અતિ પવિત્ર દિવસોમાંનો એક ગણાવ્યો હતો, જ્યારે માનવજાત ભગવાન બુદ્ધના જન્મ, બોધિજ્ઞાન અને પરિનિવાર્ણ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરે છે તેમણે ઉમેર્યું હતું કે, આ એવો દિવસ છે, જ્યારે સર્વોચ્ચ સત્ય અને ધમ્મની શાશ્વત પ્રસ્તુતતા પ્રતિબિંબિત થાય છે તથા ચાર સત્યોનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં ઉજાસ ફેલાવે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ કોલંબોમાં ઇન્ટરનેશનલ વેસાક ડે તહેવારમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવા બદલ રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરિસેના, પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે અને શ્રીલંકાના લોકોના આભારી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ પવિત્ર પ્રસંગ પર હું સમ્યક-સમબદ્ધતાની જમીન પરથી 1.25 અબજ લોકોની શુભેચ્છા મારી સાથે લાવ્યો છું, જે અપ્પો દીપો ભવનું પ્રતીક છે.”

 

નીચે પ્રધાનમંત્રીના ભાષણની કેટલીક મુખ્ય બાબતો રજૂ કરવામાં આવી છે:

 

ભારતમાં બોધગયામાં રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બન્યા હતા. આ સ્થળ બૌદ્ધ સંપ્રદાયનું પવિત્ર કેન્દ્ર છે.

 

ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ વારાણસીમાં આપ્યો હતો, જેને સંસદમાં પ્રસ્તુત કરવાનું સન્માન મને મળ્યું છે. આ ઉપદેશથી ધમ્મચક્ર પ્રવર્તમાન થયું હતું.

 

અમારા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રતીકો બૌદ્ધ સંપ્રદાયથી પ્રેરિત છે.

 

બૌદ્ધ સંપ્રદાય અને તેના વિવિધ મૂલ્યો અમારા શાસન, સંસ્કૃતિ અને ફિલોસોફીમાં વણાયેલા છે.

 

બૌદ્ધ ધર્મની મહેંક સમગ્ર ભારતમાંથી વિશ્વના ખૂણેખૂણે પ્રસરી છે.

 

રાજા અશોકના સંતાનો મહિન્દ્રા અને સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મનો પ્રસાર કરવા અને બુદ્ધનો ઉપદેશ ફેલાવવા ધમ્મ-દૂત તરીકે ભારતથી શ્રીલંકાની યાત્રા કરી હતી.

 

અત્યારે શ્રીલંકાને બૌદ્ધ ઉપદેશો અને શિક્ષણનું અતિ મહત્વપૂર્ણ કેન્દ્ર હોવાનો ગર્વ છે.

 

સદીઓ અગાઉ અંગારિકા ધર્મપાલે આવી જ સફર કરી હતી, એ પણ શ્રીલંકાથી ભારતની, જેનો ઉદ્દેશ બુદ્ધની જન્મભૂમિમાં બૌદ્ધ વારસાને પુનઃજાગૃત કરવાનો હતો.

 

એક રીતે જોઈએ તો તમે અમને અમારા મૂળિયા તરફ પરત લઈ ગયા હતા.

 

શ્રીલંકાએ બૌદ્ધ વારસાના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પાસાઓને જાળવ્યા છે અને આ માટે સમગ્ર દુનિયા તેની આભારી છે.

 

વેસાક આપણા માટે બૌદ્ધ સંપ્રદાયના આ સહિયારા વારસાની ઉજવણીનો પ્રસંગ છે.

 

આ વારસો આપણા સમાજોને પેઢીઓથી અને સદીઓથી જોડે છે

 

ભારત અને શ્રીલંકા વચ્ચેની મૈત્રીને “મહાન ગુરુઓ”એ મજબૂત કરી છે.

 

બૌદ્ધવાદ આપણા સંબંધોનું શાશ્વત જોડાણ છે.

 

પડોશી દેશો તરીકે આપણા સંબંધો અનેક સ્તરે ફેલાયેલા છે.

 

તે બૌદ્ધ સંપ્રદાયના આપણા એકબીજા સાથે જોડાયેલા મૂલ્યો મારફતે તાકાત આપે છે, કારણ કે તે આપણા સહિયારા ભવિષ્યની અનંત શક્યતાઓ ખોલે છે.

 

આપણા બંને દેશો વચ્ચે મૈત્રી છે, જે આપણા લોકોના હૃદયમાં જીવંત છે અને આપણા સમાજનું અભિન્ન અંગ છે.

 

બૌદ્ધ વારસાના આપણા જોડાણને વધારે ગાઢ બનાવવા મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, ચાલુ વર્ષે ઓગસ્ટથી એર ઇન્ડિયા કોલંબો અને વારાણસી વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરશે.

 

તેનથી શ્રીલંકાના મારા ભાઈઓ અને બહેનો માટે બુદ્ધની ભૂમિના દર્શન કરવામાં સરળતા રહેશે અને તમે સીધી શ્રાવસ્તી, કુશીનગર, સંકાસા, કૌશંબી અને સારનાથની મુલાકાત લઈ શકશો.

 

મારા તમિલ ભાઈઓ અને બહેનો કાશી વિશ્વનાથની ભૂમિ વારાણસીની મુલાકાત પણ લઈ શકશે.

 

હું માનું છું કે અત્યારે અમે શ્રીલંકા સાથે આપણા સંબંધોને વધારે ગાઢ બનાવવાની શ્રેષ્ઠ તક ધરાવીએ છીએ.

 

આ તક તમામ ક્ષેત્રોમાં આપણી ભાગીદારીમાં મોટી હરણફાળ ભરવાની છે.

 

અને અમારા માટે અમારી મૈત્રીની સફળતા માટે અતિ પ્રસ્તુત માપદંડ તમારી પ્રગતિ અને સફળતા છે.

 

અમે અમારા શ્રીલંકાના ભાઈઓ અને બહેનોની આર્થિક સમૃદ્ધિ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.

 

અમે આપણા વિકાસલક્ષી સહકારને ગાઢ બનાવવા હકારાત્મક ફેરફાર લાવવા અને આર્થિક વૃદ્ધિને વધારવા રોકાણ કરવાનું જાળવી રાખીશું.

 

અમારી તાકાત અમારી જાણકારી, ક્ષમતા અને સમૃદ્ધિ વહેંચવામાં છે.

 

વેપાર અને રોકાણમાં અમે નોંધપાત્ર ભાગીદારો છીએ.

 

અમારું માનવું છે કે વેપાર, રોકાણ, ટેકનોલોજી અને વિચારોનો મુક્ત પ્રવાહ બંને દેશો માટે લાભદાયક રહેશે.

 

ભારતની ઝડપી વૃદ્ધિ સંપૂર્ણ વિસ્તાર, ખાસ કરીને શ્રીલંકા માટે લાભદાયક બની શકે છે.

 

માળખાગત સુવિધા અને જોડાણ, પરિવહન અને ઊર્જામાં આપણે આપણો સહકાર વધારવા સજ્જ છીએ.

 

આપણી વિકાસલક્ષી ભાગીદારી કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પુનઃવસવાટ, પરિવહન, વીજળી, સંસ્કૃતિ, પાણી, આશ્રય, રમતગમત અને માનવ સંસાધન જેવા માનવતાને સ્પર્શતા લગભગ દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે.

 

અત્યારે ભારતનો શ્રીલંકા સાથે વિકાસ સહકાર 2.6 અબજ ડોલરનો છે.

 

અને તેનો એકમાત્ર ઉદ્દેશ શ્રીલંકા તેના નાગરિકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે એવો છે.

 

કારણ કે શ્રીલંકાના લોકોની આર્થિક અને સામાજિક સુખાકારી 1.25 અબજ ભારતીયો સાથે જોડાયેલી છે.

 

કારણ કે, જમીન પર કે હિંદ મહાસાગરમાં આપણા સમાજોની સુરક્ષા જોડાયેલી છે.

 

રાષ્ટ્રપતિ સિરિસેના અને પ્રધાનમંત્રી વિક્રમસિંઘે સાથે મારી વાતચીત આપણા સામાન્ય લક્ષ્યાંકો પાર પાડવામાં હાથ મિલાવવાની ઇચ્છાને પ્રતિપાદિત કરશે.

 

તમે તમારા સમાજની સંવાદિતા અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ પસંદગીઓ કરી હોવાથી તમને ભારત સ્વરૂપે આદર્શ મિત્ર અને ભાગીદાર મળશે, જે તમારા રાષ્ટ્રનિર્માણના પ્રયાસોને સમર્થન આપશે.

 

ભગવાન બુદ્ધનો સંદેશ અઢી હજાર વર્ષ અગાઉ જેટલો પ્રસ્તુત હતો એટલો જ પ્રસ્તુત 21મી સદીમાં છે.

 

બુદ્ધનો મધ્યમમાર્ગ આપણને બધાને માર્ગ ચીંધે છે.

 

આ માર્ગની ભાતૃત્વની ભાવના ઊડીને આંખે વળગે એવી છે.

 

તે દેશો વચ્ચે એકતા પેદા કરતું બળ છે.

 

દક્ષિણ, મધ્ય, દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયાના દેશોને બુદ્ધની જમીન સુધી દોરી જતા તેમના બૌદ્ધ વારસા પર ગર્વ છે.

 

સામાજિક ન્યાય અને સ્થાયી વૈશ્વિક શાંતિની થીમ વેસાક ડે પર પસંદ કરવામાં આવી છે, જે બુદ્ધના ઉપદેશનો હાર્દ છે.

 

આ થીમ સ્વતંત્ર લાગી શકે છે.

 

પણ આ બંને એકબીજા પર નિર્ભર છે, એકબીજા સાથે જોડાયેલી છે.

 

સામાજિક ન્યાયનો મુદ્દો સમૂદાયોની અંદર અને સમૂદાયો વચ્ચે સંઘર્ષ સાથે સંબંધિત છે.

 

તેના મૂળમાં તન્હા કે સંસ્કૃતિમાં તૃષ્ણા રહેલી છે, જેમાંથી લોભ જન્મે છે.

 

લોભ જ માનવજાતને પૃથ્વીનો નાશ કરવા અને તેના પર વર્ચસ્વ સ્થાપિત કરવા દોરે છે.

 

આપણી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવાની આપણી તૃષ્ણા સમુદાયોમાં આવકની અસમાનતા પેદા કરે છે અને સામાજિક સંવાદનો નાશ કરે છે.

 

તે જ રીતે અત્યારે દુનિયામાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવાનો સૌથી મોટો પડકાર દેશો વચ્ચે સંઘર્ષને કારણે હોય એ જરૂરી નથી.

 

આ માટે નફરત અને હિંસાના વિચારના મૂળમાં રહેલી માનસિકતા, વિચારધારા, સંસ્થાઓ અને સાધનો રહેલા છે.

 

આપણા વિસ્તારમાં આતંકવાદ આ વિનાશકારક લાગણીનો નક્કર પુરાવો છે.

 

કમનસીબે, આપણા વિસ્તારમાં નફરતની આ વિચારધારા અને તેના હિમાયતીઓ સંવાદ સાધવા તૈયાર નથી અને એ જ મૃત્યુ અને વિનાશનું કારણ છે.

 

હું દ્રઢપણે માનું છું કે બુદ્ધનો શાતિનો સંદેશ સમગ્ર દુનિયામાં વધતી હિંસાનો જવાબ છે.

 

અને સંઘર્ષની અનુપસ્થિતિ દ્વારા જ શાંતિની ધારણાને વ્યાખ્યાયિત નહીં કરી શકાય

 

પણ કરુણા અને પ્રજ્ઞાના આધારે સંવાદ, સંકલન અને ન્યાયને પ્રોત્સાહન આપવા આપણે બધા કામ કરીએ એ સક્રિય શાંતિ જરૂરી છે.

 

બુદ્ધે કહ્યું હતું કે, “શાંતિથી મોટા કોઈ આશીર્વાદ કે કોઈ સુખ નથી.”

 

વેસાક પર મને આશા છે કે ભારત અને શ્રીલંકા ભગવાન બુદ્ધના આદર્શોને જાળવવા ખભે ખભો મિલાવીને કામ કરશે તથા આપણી સરકારોની નીતિઓ અને આચરણમાં શાંતિ, સર્વસમાવેશકતા અને કરુણાના મૂલ્યોને પ્રોત્સાહન મળશે.

 

વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ અને દુનિયાને લોભ, નફરત અને ઉપેક્ષારૂપી ત્રણ વિષમાંથી મુક્ત કરાવવાનો આ જ સાચો માર્ગ છે.

 

વેસાકના પવિત્ર દિવસ પર ચાલો આપણે અંધકારને દૂર કરવા જ્ઞાનનો દીપ પ્રકટાવીએ, ચાલો આપણે આપણા આત્માને પ્રકાશિત કરીએ અને ચાલો આપણે બીજું કશું નહીં, પણ સત્યનો દીપ હંમેશા પ્રકટાવતા રહીએ.

 

આપણે બુદ્ધના માર્ગે સતત ચાલવાનો પ્રયાસ કરીએ, જેમનો પ્રકાશ સમગ્ર દુનિયાને રોશન કરે છે.

 

ધમ્મપદનું 387મું સૂત્ર કહે છેઃ

સૂર્ય દિવસે પ્રકાશ આપે છે,

ચંદ્ર રાત્રે ચમકે છે,

યોદ્ધાની બહાદુરી તેના શસ્ત્રોમાં ચમકે છે,

બ્રાહ્મણ તેના ધ્યાનમાં ચમકે છે,

પણ પ્રબુદ્ધ કે બુદ્ધના પ્રકાશના કિરણો તમામ દિવસ અને રાત ફેલાતા રહે છે.

 

મને સન્માન આપવા બદલ તમારો એક વખત ફરી આભાર.

 

હું આજે બપોરે કેન્ડીમાં શ્રી દાલદા માલિગાવામાં ભગવાન બુદ્ધના દાંતના અવશેષો જળવાયેલા છે એ પવિત્ર મંદિરમાં પ્રાર્થના કરવા આતુર છું.

 

બુદ્ધ, ધમ્મ અને સંઘના ત્રિરત્નો આપણને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. 

 

TR