Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે સંશોધિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડેરી વિકાસ માટેનાં રાષ્ટ્રીય કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય ક્ષેત્રની સંશોધિત એનપીડીડીને વધારાની રૂ.1000 કરોડ સાથે વધારવામાં આવી છે, જેનાં પરિણામે 15માં નાણાં પંચનાં ચક્ર (2021-22થી 2025-26)નાં ગાળા માટે કુલ બજેટ રૂ.2790 કરોડ થઈ ગયું છે. આ પહેલ ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આ ક્ષેત્રની સતત વૃદ્ધિ અને ઉત્પાદકતાને સુનિશ્ચિત કરે છે.

સંશોધિત એનપીડીડી દૂધની ખરીદી, પ્રોસેસિંગ ક્ષમતા માટે માળખાગત સુવિધા ઊભી કરીને અને ગુણવત્તા નિયંત્રણને સુનિશ્ચિત કરીને ડેરી ક્ષેત્રને વેગ આપશે. તેનો હેતુ ખેડૂતોને બજારોમાં વધુ સારી સુલભતા પ્રાપ્ત કરવામાં, મૂલ્ય સંવર્ધન દ્વારા વધુ સારી કિંમતની ખાતરી કરવા, અને સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે મદદ કરવાનો છે, જે ઊંચી આવક અને વધુ ગ્રામીણ વિકાસ તરફ દોરી જાય છે.

આ યોજનામાં બે મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે:

1. ઘટક અ: આવશ્યક ડેરી માળખાને સુધારવા માટે સમર્પિત છે, જેમ કે દૂધ ચિલિંગ પ્લાન્ટ્સ, અદ્યતન દૂધ પરીક્ષણ પ્રયોગશાળાઓ અને સર્ટિફિકેશન સિસ્ટમ્સ. તે નવી ગ્રામીણ ડેરી સહકારી મંડળીઓની રચનાને પણ ટેકો આપે છે અને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર (એનઇઆર), પર્વતીય પ્રદેશો અને કેન્દ્રશાસિત પ્રદેશો (કેન્દ્રશાસિત પ્રદેશો)માં દૂધની ખરીદી અને પ્રક્રિયાને મજબૂત બનાવે છે, ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં, તેમજ સમર્પિત ગ્રાન્ટ સપોર્ટ સાથે 2 દૂધ ઉત્પાદક કંપનીઓ (એમપીસી) ની રચના કરે છે

2. ઘટક બ: “સહકારી મંડળીઓ મારફતે ડેરીંગ (ડીટીસી)” તરીકે ઓળખાતું ઘટક બી, જાપાન સરકાર અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઇસીએ) સાથે હસ્તાક્ષર કરવામાં આવેલા કરારો અનુસાર સહકાર દ્વારા ડેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. આ ઘટક નવ રાજ્યો (આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, તેલંગણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ)માં ડેરી સહકારી મંડળીઓના સાતત્યપૂર્ણ વિકાસ, ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 એનપીડીડીના અમલીકરણને કારણે મોટી સામાજિકઆર્થિક અસર થઈ છે, જેનો લાભ 18.74 લાખથી વધુ ખેડૂતોને થયો છે અને 30,000થી વધારે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. તથા દૂધની ખરીદીની ક્ષમતામાં વધારાની 100.95 લાખ લિટર પ્રતિદિન વધારો થયો છે. એનપીડીડીએ દૂધના વધુ સારા પરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણ માટે અત્યાધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં પણ ટેકો આપ્યો છે. 51,777 થી વધુ ગ્રામ્ય સ્તરની દૂધ પરીક્ષણ પ્રયોગશાળાઓને મજબૂત બનાવવામાં આવી છે. જ્યારે 123.33 લાખ લિટરની સંયુક્ત ક્ષમતાવાળા 5,123 બલ્ક મિલ્ક કુલર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 169 લેબને ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ (એફટીઆઇઆર) દૂધ વિશ્લેષક દ્વારા અપગ્રેડ કરવામાં આવી છે અને 232 ડેરી પ્લાન્ટમાં હવે ભેળસેળ શોધવા માટે અદ્યતન સિસ્ટમ છે.

સંશોધિત એનપીડીડી પૂર્વોત્તર ક્ષેત્ર (એનઈઆર)માં પ્રોસેસિંગ કરતી 10,000 નવી ડેરી સહકારી મંડળીઓની સ્થાપના કરશે તેમજ એનપીડીડીના ચાલુ પ્રોજેક્ટ્સ ઉપરાંત સમર્પિત અનુદાન સહાયતા સાથે 2 દૂધ ઉત્પાદક કંપનીઓ (એમપીસી)ની રચના કરશે તેવી અપેક્ષા છે, જે વધારાની 3.2 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે, ખાસ કરીને મહિલાઓને લાભ થશેજે ડેરી વર્કફોર્સમાં 70 ટકા હિસ્સો ધરાવે છે.

ડેરી વિકાસ માટે સંશોધિત રાષ્ટ્રીય કાર્યક્રમ શ્વેત ક્રાંતિ 2.0 સાથે સુમેળમાં ભારતના આધુનિક માળખામાં પરિવર્તન લાવશે અને નવી ટેકનોલોજી અને ગુણવત્તા પરીક્ષણ પ્રયોગશાળાઓ પ્રદાન કરીને નવી રચાયેલી સહકારી મંડળીઓને ટેકો આપશે. આ કાર્યક્રમ ગ્રામીણ આજીવિકાને સુધારવામાં, રોજગારીનું સર્જન કરવામાં અને એક મજબૂત, વધારે સ્થિતિસ્થાપક ડેરી ઉદ્યોગનું નિર્માણ કરવામાં મદદ કરશે, જેનો લાભ દેશભરના લાખો ખેડૂતો અને હિતધારકોને મળશે.

AP/IJ/GP/JD