Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાયગઢ, છત્તીસગઢમાં રેલ સેક્ટર પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

રાયગઢ, છત્તીસગઢમાં રેલ સેક્ટર પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


છત્તીસગઢના ડેપ્યુટી સીએમ શ્રી ટી.એસ. સિંહદેવજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી, બહેન રેણુકા સિંહજી, સાંસદ મેડમ, ધારાસભ્યો અને છત્તીસગઢના મારા પ્રિય પરિવારના સભ્યો!

આજે છત્તીસગઢ વિકાસની દિશામાં વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. આજે છત્તીસગઢને 6400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. ઉર્જા ઉત્પાદનમાં છત્તીસગઢની ક્ષમતા વધારવા અને આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારા માટે આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે અહીં સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

મિત્રો,

આજે સમગ્ર વિશ્વ આધુનિક વિકાસની ઝડપી ગતિ તેમજ ગરીબ કલ્યાણના ભારતીય મોડલને જોઈ રહ્યું છે અને તેની પ્રશંસા કરી રહ્યું છે. તમે બધાએ જોયું હશે કે થોડા દિવસો પહેલા G-20 કોન્ફરન્સ દરમિયાન મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવ્યા હતા. તે બધા ભારતના વિકાસ અને ગરીબ કલ્યાણના પ્રયાસોથી પ્રભાવિત થયા છે. આજે દુનિયાની મોટી સંસ્થાઓ ભારતની સફળતાથી શીખવાની વાત કરી રહી છે. કારણ કે આજે દેશના દરેક રાજ્ય અને દરેક ક્ષેત્રને વિકાસમાં સમાન પ્રાથમિકતા મળી રહી છે. અને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું તેમ આપણે સાથે મળીને દેશને આગળ ધપાવવાનો છે. છત્તીસગઢ અને રાયગઢનો આ વિસ્તાર પણ આનો સાક્ષી છે. આ વિકાસ કાર્યો માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

મારા પરિવારજનો,

છત્તીસગઢ આપણા માટે દેશના વિકાસના પાવર હાઉસ જેવું છે. અને દેશને પણ આગળ વધવાની ઉર્જા ત્યારે જ મળશે જ્યારે તેના પાવર હાઉસ પોતાની પૂરી તાકાતથી કામ કરશે. આ વિચાર સાથે, છેલ્લા 9 વર્ષોમાં અમે છત્તીસગઢના બહુમુખી વિકાસ માટે સતત કામ કર્યું છે. તે વિઝન અને તે નીતિઓના પરિણામો આજે આપણે અહીં જોઈ શકીએ છીએ. આજે છત્તીસગઢમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં મોટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે, નવી યોજનાઓનો પાયો નાખવામાં આવી રહ્યો છે. તમને યાદ હશે કે જુલાઈ મહિનામાં જ હું વિકાસના પ્રોજેક્ટ માટે રાયપુર આવ્યો હતો. ત્યાર બાદ મને વિશાખાપટ્ટનમથી રાયપુર ઈકોનોમિક કોરીડોર અને રાયપુરથી ધનબાદ ઈકોનોમિક કોરીડોર જેવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો. તમારા રાજ્યને ઘણા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ભેટ પણ આપવામાં આવી હતી. અને હવે આજે છત્તીસગઢના રેલ નેટવર્કના વિકાસમાં એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. આ રેલ નેટવર્ક બિલાસપુર-મુંબઈ રેલ લાઇનના ઝારસગુડા બિલાસપુર વિભાગમાં ભીડ ઘટાડશે. એ જ રીતે, અન્ય જે રેલવે લાઇન શરૂ થઈ રહી છે અને જે રેલ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે તે છત્તીસગઢના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપશે. જ્યારે આ માર્ગો પર કામ પૂર્ણ થશે, ત્યારે તે છત્તીસગઢના લોકોને માત્ર સુવિધા જ નહીં આપે, પરંતુ અહીં રોજગાર અને આવકની નવી તકો પણ ઊભી કરશે.

મિત્રો,

કેન્દ્ર સરકારના આજના પ્રયાસોથી દેશના પાવર હાઉસ તરીકે છત્તીસગઢની તાકાત પણ અનેકગણી વધી રહી છે. કોલફિલ્ડથી પાવર પ્લાન્ટ સુધી કોલસાના પરિવહનનો ખર્ચ ઓછો થશે અને સમય પણ લાગશે. ઓછા ખર્ચે મહત્તમ વીજળી ઉત્પન્ન કરવા માટે સરકાર પીટ હેડ થર્મલ પાવર પ્લાન્ટ પણ બનાવી રહી છે. તલાઈપલ્લી ખાણને જોડવા માટે 65 કિમીના મેરી ગો રાઉન્ડ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં દેશમાં આવા પ્રોજેક્ટ્સની સંખ્યા વધશે અને તેનો સૌથી વધુ ફાયદો છત્તીસગઢ જેવા રાજ્યોને થશે.

મારા પરિવારજનો,

અમૃતકાળના આગામી 25 વર્ષમાં આપણે આપણા દેશનો વિકાસ કરવાનો છે. આ કામ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે દરેક દેશવાસીની વિકાસમાં સમાન ભાગીદારી હશે. આપણે દેશની ઉર્જાની જરૂરિયાતો પણ પૂરી કરવી પડશે, અને આપણા પર્યાવરણની પણ કાળજી લેવી પડશે. આ વિચાર સાથે સુરજપુર જિલ્લાની બંધ કોલસાની ખાણને ઈકો ટુરીઝમ તરીકે વિકસાવવામાં આવી છે. કોરવા વિસ્તારમાં પણ આવો જ ઈકો-પાર્ક વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. આજે ખાણોમાંથી છોડાતા પાણીથી હજારો લોકોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસોનો સીધો ફાયદો આ વિસ્તારના આદિવાસી સમાજના લોકોને થશે.

મિત્રો,

અમારો સંકલ્પ છે કે અમે જંગલો અને જમીનનું રક્ષણ કરીશું અને વન સંપત્તિ દ્વારા સમૃદ્ધિના નવા રસ્તાઓ પણ ખોલીશું. આજે દેશના લાખો આદિવાસી યુવાનો વનધન વિકાસ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ વર્ષે વિશ્વ પણ બાજરી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. તમે કલ્પના કરી શકો છો કે આવનારા વર્ષોમાં આપણું અનાજ અને બાજરી કેટલું મોટું માર્કેટ બનાવી શકે છે. એટલે કે આજે એક તરફ દેશની આદિવાસી પરંપરાને નવી ઓળખ મળી રહી છે તો બીજી તરફ પ્રગતિના નવા માર્ગો પણ ખુલી રહ્યા છે.

મારા પરિવારજનો,

સિકલ સેલ એનિમિયા માટેના કાઉન્સેલિંગ કાર્ડ જે આજે અહીં વિતરણ કરવામાં આવ્યા છે તે પણ ખાસ કરીને આદિવાસી સમાજ માટે એક મોટી સેવા છે. આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો સિકલ સેલ એનિમિયાથી સૌથી વધુ પ્રભાવિત છે. સાથે મળીને આપણે યોગ્ય માહિતી વડે આ રોગને નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના સંકલ્પ સાથે આગળ વધવાનું છે. મને વિશ્વાસ છે કે છત્તીસગઢની વિકાસયાત્રામાં ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાં છત્તીસગઢને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ સંકલ્પ સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછીના પ્રોગ્રામમાં હું કેટલીક બાબતો વિગતવાર જણાવીશ. આજના આ કાર્યક્રમ માટે આટલું જ, ખુબ ખુબ આભાર!

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com