પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું દિલ્હીમાં તેમનાં આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મૂન લેન્ડરનાં સફળ ઉતરાણ પછી ઈસરોની ટીમ સાથે વાતચીત કર્યા બાદ પ્રધાનમંત્રી આજે બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના 4 દિવસના પ્રવાસ બાદ સીધા બેંગલુરુ ગયા હતા. શ્રી જે. પી. નડ્ડાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું અને તેમની સફળ મુલાકાતની સિદ્ધિઓ અને ભારતીય વૈજ્ઞાનિકોની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ તેમનું અભિવાદન કર્યું હતું.
નાગરિકોનાં ઉષ્માસભર આવકારને પ્રતિસાદ આપતાં પ્રધાનમંત્રીએ ચંદ્રયાન-3ની સફળતા માટે લોકોના ઉત્સાહ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ઇસરોની ટીમ સાથે તેમની વાતચીત વિશે વાત કરી હતી અને જાણકારી આપી હતી કે, “ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જ્યાં લેન્ડ થયું હતું, એ પોઇન્ટને હવે ‘શિવ શક્તિ‘ તરીકે ઓળખવામાં આવશે.” તેમણે વિસ્તૃત વર્ણન કર્યું કે શિવ શુભ સૂચવે છે અને શક્તિ નારી શક્તિનું ઉદાહરણ આપે છે. શિવ શક્તિ હિમાલય અને કન્યાકુમારીનાં જોડાણ માટે પણ વપરાય છે. એ જ રીતે પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વર્ષ 2019માં ચંદ્રયાન-2એ જે સ્થળે પોતાનાં પદચિહ્નો છોડ્યાં હતાં, તેને હવે ‘તિરંગા‘ નામ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તે સમયે પણ એક પ્રસ્તાવ હતો, પરંતુ કોઈક રીતે દિલ માનતું નહોતું. તેમણે કહ્યું કે, સંપૂર્ણ રીતે સફળ મિશન બાદ જ ચંદ્રયાન-2ના પોઇન્ટને નામ આપવા માટે એક મૂક સંકલ્પ લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તિરંગા દરેક પડકારનો સામનો કરવાની તાકાત આપે છે.” તેમણે ૨૩ ઑગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાના નિર્ણય અંગે પણ માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ તેમની આ મુલાકાત દરમિયાન વૈશ્વિક સમુદાયે ભારતને જે શુભેચ્છાઓ અને અભિનંદનના સંદેશા આપ્યા હતા, તે પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત તેની સિદ્ધિઓ અને સફળતાના આધારે નવી અસર ઊભી કરી રહ્યું છે તથા દુનિયા તેની નોંધ લઈ રહી છે.
ભારતના કોઈ પણ પ્રધાનમંત્રી દ્વારા છેલ્લાં 40 વર્ષમાં પહેલી વાર ગ્રીસની પોતાની ગ્રીસ યાત્રાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ગ્રીસમાં ભારત પ્રત્યેના પ્રેમ અને આદરને ઉજાગર કર્યો અને કહ્યું કે એક રીતે ગ્રીસ ભારતનું યુરોપ માટેનું પ્રવેશદ્વાર બની જશે અને ભારતના મજબૂત યુરોપિયન યુનિયન સંબંધો માટે એક મજબૂત માધ્યમ બની રહેશે.
પ્રધાનમંત્રીએ વિજ્ઞાનમાં યુવાનોની સામેલગીરીને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એટલે તેમણે કહ્યું હતું કે, સામાન્ય નાગરિક માટે સુશાસન અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતા માટે અંતરિક્ષ વિજ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે જોવાની જરૂર છે. તેમણે સેવા પ્રદાન, પારદર્શકતા અને સંપૂર્ણતામાં અવકાશ વિજ્ઞાનનો ઉપયોગ કરવાની રીતો શોધવામાં સરકારી વિભાગોને તૈનાત કરવાના તેમના નિર્ણયોનો પુનરોચ્ચાર કર્યો હતો. આ માટે આગામી દિવસોમાં હૅકાથોન્સનું આયોજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદી ટેક્નૉલોજી આધારિત છે. તેમણે જણાવ્યું હતું કે, “આપણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત હાંસલ કરવા વિજ્ઞાન અને ટેક્નૉલોજીના માર્ગે વધારે દ્રઢતાપૂર્વક આગળ વધવું પડશે.” નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે, ચંદ્રયાનની સફળતાથી ઉત્પન્ન થયેલા ઉત્સાહને શક્તિમાં પરિવર્તિત કરવાની જરૂર છે. આ માટે 1 સપ્ટેમ્બરથી MyGov પર ક્વિઝ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિજ્ઞાન અને ટેક્નૉલોજી માટે પણ પર્યાપ્ત જોગવાઈઓ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આગામી જી-20 શિખર સંમેલન એક એવો પ્રસંગ છે, જેમાં સમગ્ર દેશ યજમાન છે, પણ સૌથી વધુ જવાબદારી દિલ્હીની છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “દેશની પ્રતિષ્ઠાનો ધ્વજ ઊંચો રાખવાની તક મળવાનું સૌભાગ્ય દિલ્હીને મળ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દિલ્હીએ ‘અતિથિ દેવો ભવ:‘ની પરંપરાનું પાલન કરવાની જરૂર છે, કારણ કે ભારતનો આતિથ્ય-સત્કાર દર્શાવવાનો આ મહત્ત્વંપૂર્ણ પ્રસંગ છે. “5-15 સપ્ટેમ્બરની વચ્ચે ઘણી પ્રવૃત્તિઓ થશે. દિલ્હીનાં લોકોને થનારી અસુવિધા માટે હું અગાઉથી માફી માગું છું. એક પરિવાર તરીકે, તમામ મહાનુભાવો આપણા અતિથિઓ છે અને આપણે સામૂહિક પ્રયત્નોથી આપણી જી -20 સમિટને ભવ્ય બનાવવી પડશે.”
આગામી રક્ષાબંધન અને ચંદ્રને ધરતી માતાના ભાઈ તરીકે ગણવાની ભારતીય પરંપરા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ રક્ષાબંધનની શુભકામનાઓનું આહ્વાન કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે, આ તહેવારની મજાથી ભરેલી ભાવના દુનિયાને આપણી પરંપરાઓનો પરિચય કરાવશે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીની જનતા જી20 સમિટને શાનદાર સફળ બનાવીને આપણા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓને નવી તાકાત આપશે.
Grateful for the warm welcome in Delhi. https://t.co/o9LUiDcojf
— Narendra Modi (@narendramodi) August 26, 2023
CB/GP/JD
Grateful for the warm welcome in Delhi. https://t.co/o9LUiDcojf
— Narendra Modi (@narendramodi) August 26, 2023